સિંધી સમાજ અને સાંઇ ઝુલેલાલ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માંગ
સમસ્ત સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સાંઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ છત્તીસગઢના એક વ્યક્તિ દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીથી રાજકોટના સિંધી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સમસ્ત સિંધી સમાજ રાજકોટ દ્વારા જિલ્લા કલેકટર થકી વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તા. 29/10/2025 ના રોજ છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરના અમિત બધેલ નામના વ્યક્તિએ હોશ હવાસમાં સિંધી સમાજના ભગવાન સાંઈ ઝુલેલાલજીને અભદ્ર શબ્દો એલફેલ બોલેલ. આ ઉપરાંત, તેણે સિંધી સમાજના લોકોને પાકિસ્તાની હોવાનો બહુ મોટો આક્ષેપ પણ કર્યો.
સિંધી સમાજ અને ઈષ્ટદેવ પર ખુબ મોટા તોછડાઈ ભર્યા કટાક્ષ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર ભારતભરમાં ઠેર ઠેકાણે વિરોધ પ્રદર્શનો, પૂતળા દહન અને બેનર વિરોધ અલગ અલગ રીતે થઈ રહ્યા છે.સમગ્ર રાજકોટ સિંધી સમાજે પોતાનો ઉગ્ર રોષ અને વિવેકતાથી આવેદનપત્ર આપ્યું છે. તેમની મુખ્ય માંગણી છે કે અમિત બધેલ વહેલી તકે સિંધી સમાજ અને ભગવાન ઝુલેલાલ પાસે માફી માંગે.
આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો અમિત બધેલ વહેલી તકે માફી નહીં માંગે, તો આવનારા દિવસોમાં જે વિરોધ રેલીઓ થશે અને ગુજરાત રાજ્યમાં જે પણ વિરોધ થશે અને જો કોઈ ટોળું કાબૂમાં નહીં રહે અને રાજ્યમાં નુકસાન થશે, તો તેની તમામ જવાબદારી અમિત બધેલની રહેશે. રાજકોટ સિંધી સમાજની છત્તીસગઢ સરકારને અરજ છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
