જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને ભારત રત્ન આપવા માંગ
વાંકાનેરના રાજવી સાંસદ કેસરીદેવસિંહે રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો
જામનગર (નવાનગર)ના પૂર્વ રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ’ભારત રત્ન’ આપવાની માંગ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કરી રાજ્યસભામાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આ મુદ્દો ઉઠાવ્યયો હતો. આ મુદ્દે હવે જામનગરમાંથી પણ તેને ટેકો મળ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના હજારો બાળકોને આશરો આપવા બદલ જામ સાહેબ આજે પણ પોલેન્ડમાં પૂજનીય છે, તેમજ સૌરાષ્ટ્રના 217 રજવાડાઓના એકીકરણમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. ભારત અને વિશ્વમાં માનવતા, વીરતા અને રાષ્ટ્રભક્તિના આદર્શ સ્થાપિત કરનાર જામનગરના દિવંગત રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ’ભારત રત્ન’ (મરણોત્તર)થી નવાજવાની માંગ હવે વધુ પ્રબળ બની રહી છે. તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવાયા બાદ, હવે જામનગરની પ્રજા અને મહાનુભાવો દ્વારા પણ આ માંગને ભારપૂર્વક ટેકો જાહેર કરાયો છે.
જામ સાહેબ દિગ્વિજય સિંહજીની માંગનું મુખ્ય કારણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનું તેમનું અપ્રતિમ માનવતાવાદી કાર્ય છે. જ્યારે યુરોપ યુદ્ધની આગમાં સળગી રહ્યું હતું અને અનેક દેશોએ શરણાર્થીઓને આશરો આપવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે જામ સાહેબે પોલેન્ડના 1000થી વધુ નિર્વાસિત બાળકોને પોતાના રજવાડામાં સુરક્ષિત આશરો આપ્યો હતો. તેમણે આ બાળકોને માત્ર આશરો જ નહોતો આપ્યો, પરંતુ તેમને પોતાના બાળકની જેમ સ્નેહ, શિક્ષણ અને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી.
આજે પણ જામ સાહેબ પોલેન્ડમાં એટલા જ વ્યાપ્ત અને પૂજનીય છે. પોલેન્ડની સંસદથી લઈને બગીચાઓ, ચોક અને શાળાઓ સુધી તેમના નામ પર સ્મારકો અને તકતીઓ સ્થાપિત છે. તેમની આ માનવતાવાદી ભૂમિકા ભારતનું નામ વૈશ્વિક મંચ પર ગૌરવથી રોશન કરે છે.આ માંગને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું શ્રેય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના પૂર્વ રાજવી કેસરીદેવસિંહ ઝાલાને જાય છે, જેમણે સંસદમાં જામ સાહેબને ’ભારત રત્ન’ આપવાનો પ્રબળ સુર ઉઠાવ્યો હતો. સાંસદના આ નિવેદનને પગલે જામનગરના અગ્રણી નાગરિકો અને ઇતિહાસકારોએ પણ આ માંગને બિરદાવી છે.