ફી રેગ્યુલેશન કમિટી નાબૂદ કરવા માગણી
સ્વનિર્ભર શાળાઓ દ્વારા ફિ બાબતે મનમાની કરતી હોય અને મનફાવે તેમ ફિ ઉઘરાણા કરવામાં આવતા હોવાની રાવ રાજકોટ સહિત રાજ્યના વાલીઓમાં ઉઠી હતી. બાદમાં સરકાર દ્વારા ફિ નિર્ધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં 3 જગ્યાઓ ત્રણ મહિનાથી ખાલી છે. ત્યારે ફી નિર્ધારણ કમિટીને નાબુદ કરવા અન્ય રાજ્ય મુજબ ટકાવારી પ્રમાણે ફિક્સ ફિ વધારો કરવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ફી નિર્ધારણ કમિટીના ભૂતપૂર્વ સભ્ય અને હાલ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, 6 વર્ષનાં સમયગાળામાં રાજ્યની તમામ શાળાઓની ફી નક્કી થઈ ગઈ છે. જેમાં 85% શાળાઓ એવી છે કે જે રાજ્ય સરકારના પ્રાથમિકમાં 15 હજાર, માધ્યમિકમાં 27 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂૂ.30 હજારના ફી સૂચન મુજબની છે.
રાજ્યની અંદાજીત 2,500 ખાનગી શાળાઓ એવી છે કે જે રાજ્ય સરકારે નક્કી કરેલા ફી માળખાથી વધુ છે. ફી રેગ્યુલેશન કમિટી જે તે શાળાનું બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી સહિતની બાબતોમાં ડોક્યુમેન્ટ્સને આધારે શાળાની ફી નક્કી કરતી હોય છે. કોઈપણ શાળાની ફી છેલ્લા 6 વર્ષથી ફી નિર્ધારણ કમિટી નક્કી કરતી હોય ત્યારે શાળાઓના તમામ પાસાઓનું મૂલ્યાંકન થઈ ગયું હોય, ત્યારે ફી નિર્ધારણ સહિતની બાબતોમાંથી બહાર નીકળવું હોય તો ખાનગી શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારને ફિક્સ ફી વધારો કરવાનું સૂચન કરાયું છે.
ખાનગી શાળાની ફી રૂૂ.50 હજાર કે તેથી ઓછી હોય તો તેમાં 7થી 10%નો ફી વધારો, 50 હજારથી 1 લાખ સુધીની ફી હોય તો તેમને 5થી 7નો ફી વધારો અને 1 લાખથી વધુ ફી હોય તો 3થી 5%નો વધારો શાળાઓ કરી શકે. આ પ્રકારના કોઈ પણ સ્ટેપ સરકાર નક્કી કરી શકે છે. આ પ્રકારની વ્યવસ્થા ભારત દેશના અન્ય રાજ્યોમાં થયેલી છે, ત્યારે આ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપીલ છે. કારણકે દર વર્ષે મોંઘવારીનો દર 5થી 10% હોય જ છે. તેને આરબીઆઈ અને રાજ્યનું નાણાં મંત્રાલય અનુમોદન આપે છે.
10 ટકા સુધીનો વધારો શાળાને આપો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ ખાનગી શાળાઓનો 70% ખર્ચ શિક્ષકો અને સ્ટાફના પગાર માટે થતો હોય છે. સ્ટાફને પણ મોંઘવારી નડતી હોવાથી પગાર વધારો કરવાનો હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે, તેનું જો સરળીકરણ કરવું હોય તો રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ નિષ્ણાંતોના અભિપ્રાયોને ધ્યાનમાં લઇ 5થી 10%નો ફી વધારો કોઈ શાળાએ કરવો હોય તો તે શાળા કરી શકે. 10%થી વધુ ફીનો વધારો કોઈ શાળાઓએ કરવો હોય તો તે શાળા કમિટી સમક્ષ જાય. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ, વિદ્યાર્થી સંગઠનો સાથેની અસમંજસ અને ઘર્ષણ દૂર થાય તેવું શાળા સંચાલક મંડળનું સ્પષ્ટ માનવું છે.