For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટ

05:04 PM Sep 10, 2025 IST | Bhumika
ઇન્દિરા સર્કલ પાસે જીવલેણ અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટમાં કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ તરફ જતી ઇલેક્ટ્રીક સીટી બસના ચાલકે ઓવરસ્પીડમાં બસ ચલાવી ઇન્દિરા સર્કલ પાસે 8થી 10 વાહનોને હડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે અને એકનું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. જે અકસ્માતના સપરાધ મનુષ્યવધના ગુનામાં કોર્ટે બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી ફગાવી દીધી છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ઇન્દિરા સર્કલ ખાતે લોકો સિગ્નલ બંધ હોવાથી સિગ્નલ ખુલવાની રાહ જોઇ રહ્યા હતા. આ અરસામાં કોટેચા ચોક તરફથી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક જી.જે.3બીઝેડ466 નંબરની સીટી બસ આવી પહોંચી હતી. તે પણ સિગ્નલ ખોલવાની રાહ જોઇ રહી હતી. સિગ્નલ ખુલતા ટુવ્હિલર અને ફોર વ્હિલર ચાલકો આગળ જવા માટે પોતાનું વાહન હંકારી રહ્યા હતા. ત્યારે સિટી બસના ચાલક શીશુપાલસિંહ રાણા દ્વારા એકા એક બસને ઓવરસ્પીડમાં હંકારી 8-10 જેટલા ટુવ્હીલ વાહનોને હડફેટે લીધા હતા. ઓવરસ્પીડમાં આગળ જતી એક કારને પણ ઠોકરે ચડાવી હતી. ત્યાર બાદ એક પછી એક 3-4 લોકો પર બસના તોંતીગ વ્હીલ ફરી વળ્યા હતા. જેમાં રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉ.વ.35, રહે સત્યમ પાર્ક), સંગીતાબેન ધનરાજભાઇ ચૌધારી (ઉ.વ.40 રહે.સ્વામિનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ) અને ચિન્મયભાઈ ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ (ઉ.25 હાથીખાના શેરી નં.2)ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

જ્યારે કિરણબેન ચંદ્રશભાઇ કકકડ (ઉ.47 રહે એસઆઇજી કાલાવડ રોડ કોટેચા ચોક)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ કિરણબેન કકકડ, સુરજ ધર્મેશભાઇ રાવલ, વિશાલ રાજેશભાઇ મકવાણા, વિરાજબા મહાવીરસિંહ ખાચર સહિતનાઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બસ ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં બસ ચલાવી જીવલેણ અકસ્માત સર્જ્યો હોવાનું ખુલતા સપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલ હવાલે રહેલા બસ ચાલક શિશુપાલસિંહ રાણાએ ચાર્જશીટ બાદ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement