ખેતરમાં કામ કરતા પરિવાર ઉપર વીજ વાયર પડતા દંપતીનું મોત, પુત્ર ગંભીર
- જસદણના થોરખાણ ગામના બનાવથી અરેરાટી, પરિવારમાં શોક છવાયો
જસદણના થોરખાણ ગામે રહેતા અને ખેતીકામ કરતા વનરાજભાઈ બચુભાઈ ચારોલીયા(ઉ.વ.40) અને તેમના પત્ની રેખાબેન(ઉ.વ.39) તેમજ તેમનો પુત્ર વિશાલ (ઉ.વ.18) બપોરના સમયે વાડીમાં ખેતીકામ કરતા હતા. ત્યારે ત્રણેય વ્યક્તિ પર અચાનક વિજતાર પડતા ત્રણેય વ્યક્તિ ચોંટી ગયા હતા. જેમાં વનરાજભાઈ અને તેમના પત્ની રેખાબેનનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનામાં મૃતક વનરાજભાઈનો ભત્રીજો ઘનશ્યામ બાબુભાઈ ચારોલીયા બપોરના સમયે તેના કાકાને જમવાનું દેવા ગયો ત્યારે તેમના કાકા સહિતના ત્રણેય લોકો વિજતાર સાથે ચોંટેલા નજરે પડતા તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી.બાદમાં ત્રણેય લોકોને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબે દંપતીને મૃતક જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. મૃતક વનરાજભાઈ ભાગીયું રાખી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ મથકનો સ્ટાફ સરકારી હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.