ભાજપની પ્રથમ યાદીનું કાઉન્ટડાઉન, ટિકિટ દાવેદારો અધ્ધર શ્વાસે
- દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિનું મનોમંથન, ચૂંટણી જાહેર થાય તે પહેલાં 125 ઉમેદવારો જાહેર કરવાનો વ્યૂહ
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ગઈકાલથી દિલ્હીમાં વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાજપના 100થી 125 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાવમા આવનાર હોય, ભાજપની પ્રથમ યાદી અંગે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્કંઠા અને ઈન્તેજારી પ્રવર્તી રહી છે. જ્યારે ટિકિટ દાવેદારો અધ્ધરશ્ર્વાસે નામો જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક આજે સતત બીજા દિવસે ચાલી રહી છે. બેઠકમાં લગભગ 125 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહેશે. સૂત્રોનું માનીએ તો ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ પ્રથમ યાદીમાં હોઈ શકે છે. આ સિવાય કેટલાક એવા મંત્રીઓના નામ પણ હોઈ શકે છે જે હાલમાં રાજ્યસભાના સાંસદ છે. આ યાદીમાં ત્રણ પ્રકારના ઉમેદવારોની જાહેરાત કરી શકાય છે. એક અતિ મહત્વની બેઠક છે, બીજી રાજ્યસભાના સભ્ય છે અને તેઓને લોકસભાની ચૂંટણી લડાવાઈ શકે છે. ત્રીજું, જે બેઠકો અત્યાર સુધી નબળી રહી છે. કોર ગ્રુપ કમિટીની બેઠક મળી હતી
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા ગઈકાલે એટલે કે બુધવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં 6 રાજ્યોની કોર ગ્રુપ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દરેક રાજ્યના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેમના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આજે સાંજે 7 વાગે યુપી બીજેપીની કોર કમિટીની બેઠક પણ થશે. જેમાં લખનૌથી યુપીના સી.એમ. બંને ડેપ્યુટી સીએમ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રી હાજરી આપશે. લોકસભા ચૂંટણી માટે કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે. કોર કમિટિ પછી તરત જ ચૂંટણી સમિતિની પણ બેઠક છે. હાલમાં તમામની નજર સીઈસીની બેઠક પર છે. હવે જોવાનું એ રહે છે કે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ શું થાય છે. ભાજપ પ્રથમ યાદીમાં કોનો સમાવેશ કરશે?
હારેલી બેઠકો પરના ચૂંટણી સમીકરણો અને તે બેઠકો પરના જ્ઞાતિ અને સામાજિક સમીકરણોના આધારે સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોર ગ્રુપની બેઠકમાં 3/3 ઉમેદવારોની યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેલંગાણામાં જીતેલી 4 બેઠકો ઉપરાંત 13 અન્ય હારેલી બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં જ્ઞાતિના સમીકરણો યથાવત રહેશે, ડો.બોઘરાને અમરેલીનો વિકલ્પ
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકોના નામો અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમાં અમિત શાહ અને સી.આર. પાટીલના નામ ફાઈનલ થયા છે જ્યારે બાકીની 24 બેઠકો માટે ઉમેદવારો અંગે મનોમંથન થયું હતું તેમાં દરેક બેઠકના જ્ઞાતિના સમિકરણો યથાવત રાખવા નિર્ણય લેવાયાનું જાણવા મળી રહ્યું છે. ઉમેદવારો બદલે તો પણ જે તે બેઠક ઉપર હાલ જે જ્ઞાતિના સાંસદો છે તે જ જ્ઞાતિના નવા ઉમેદવાર પસંદ કરવામાં આવનાર છે. જ્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા માટે રાજકોટ કે પોરબંદરના બદલે અમરેલી બેઠકનો વિકલ્પ ચર્ચામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.