આઈએનએસ વાલસુરામાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ
- વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી, સૈનિકોના ત્યાગ, તપસ્યા, બલિદાનને બીરદાવ્યા
વાલસુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, અને વોર મેમોરિયલ પર રાજ્યપાલે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વાલસુરામાં 44પ અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી છે, જેને રાજ્યપાલશ્રીએ અભિનંદન આપ્યા હતાં.આઈએનએસ વાલસુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે. અગ્નિવીરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ તેમજ પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને હું શુભકામનાઓ પાઠવું છું.
વાલસુરામાં નાવીન્ય, ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુર વીરો તૈયાર થયા છે. તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ અગ્નિવીરો પૈકી બે દીકરીઓનું સમ્માન થયું છે. આ દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કયો છે. આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કીર્તિ મેળવી રહી છે. 18 થી ર1 વર્ષના અગ્નિવીરોનો જોશ અદ્ભુત છે. નૌસેના દેશનું ગૌરવ અને રાષ્ટ્રનું સમ્માન છે. કુદરતી આફત હોય કે આપાત્કાલિન સ્થિતિ ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે.
તેઓએ અગ્નિવીરોને માર્ગદર્શન આપણા જણાવ્યું હતું કે, જે લોકો કર્મયોગી અને પરિશ્રમી હોય છે તેઓ દુનિયામાં કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમ વગર જંગલના રાજા સિંહને પણ ભોજન મળતું નથી. સત્ય વ્યક્તિને બહાદુર અને નીડર બનાવે છે. સત્ય પ્રકાશ સમાન છે. જે અગ્નિવીરો દેશની રક્ષા અર્થે જઈ રહ્યા છે તેઓને પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સત્યનું આચરણ કરવા, રાષ્ટ્રધર્મનું પાલન કરવા, માતા-પિતા તથા ગુરુ પ્રત્યે આદરભાવ કેળવવા શીખ આપી હતી.
આ તકે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 3 અગ્નિવીરોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માનિત કરાયા હતાં.
નૌસેનાનું રાષ્ટ્ર અને સમાજમાં મહત્ત્વનું યોગદાન છે. દેશ માટે બલિદાન આપવાની ભાવનાથી સેનાની ત્રણેય પાંખો દેશના નાગરિકોનું રક્ષણ કરી રહી છે. સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં આજે શાંતિ પ્રવર્તી રહી છે, તેમ જણાવી વાલસુરા વોર મેમોરિયલ પર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આઈએનએસ વલસુરામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોની તાલીમ પૂર્ણ કરેલ 68 મહિલા કેડેટ્સ, 38 ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત 44પ કેડેટ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જ્યાં કેડેટ્સ દ્વારા યોજાયેલ ભવ્ય પરેડનું રાજ્યપાલશ્રી અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કોમોડોર એ. પુરણકુમાર, એર કોમોડોર પુનિત વિગ, કર્નલ કુશલસિંહ રાજાવત, જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર સહિત આર્મી, નેવી તથા એર ફોર્સના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.