અમિત ખૂંટને ફસાવવાનું ષડયંત્ર રાજકોટમાં રચાયાનો ઘટસ્ફોટ
બાહુબલીના નજીકનો શખ્સ કાવત્રાનો મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું, પોલીસની 6 કલાકની પૂછપરછમાં મોટા ખુલાસા
સૂત્રધારે જ સગીરા બની અમિત સાથે ઇન્સ્ટાગ્રામમાં વાત કરી ફસાવ્યો, મદદ માટે બે વકીલોને સાથે રાખ્યા
રીબડા નાં ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે પોલીસ તપાસમાં કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે. મૂળ રીબડા ગામના અને રાજકોટમાં રહેતા પાટીદાર યુવાન અમિત ખૂંટ પર નોંધવામાં આવેલી બળાત્કારની ફરિયાદએ આખે આખું ષડ્યંત્ર હોવાનું અને આ ષડયંત્ર રાજકોટમાં રચાયું હોવાનો રાજકોટ રૂૂરલ પોલીસે ઘટસ્ફોટ કરી આ મામલે ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઈ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે. આ પ્રકરણમાં રાજકોટની પૂજા જેન્તીભાઈ રાજગોર અને દુષ્કર્મની ફરિયાદ નોધાવનાર સગીરાની 6 કલાક સુધી પુછપરછ કરતા મોટા ખુલાસા થયા છે.
અમિત દામજીભાઈ ખુંટને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા માટે મજબૂર કરાયાના કેસમાં પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. ભોગ બનનાર સગીરાને વડોદરાના રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવી છે. જયારે પૂજા રાજગોરના બે દિવસના રિમાન્ડ ઉપર છે અને પકડાયેલ ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય પંડિતની રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજુ કરશે. આ કેસની તપાસમાં હજુ પણ વધુ કેટલાક વિસ્ફોટક તથ્યો બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે.
જીલ્લ અપોલીસ વડા હિમકર સિંહે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રીબડાના અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવવા અને બળાત્કારની ફરિયાદનું ષડયંત્ર રાજકોટમાં રચાયું હતું.
આ કેસમાં રીબડાના બાહુબલીના એક નજીકના શખ્સ જેને પોલીસે એક્સ તરીકે નામ આપ્યું છે તેનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રનો સુત્રધાર રાજકોટ આવ્યો હતો જે આરોપી પૂજા રાજગોર સાથે છેલ્લા એક વર્ષથી પરિચયમાં છે. અમિત ખુંટ સામેની દુષ્કર્મની ફરિયાદના 10 દિવસ પૂર્વે એક્સ નામનો શખ્સ રાજકોટ આવ્યો અને તેણે પૂજા તેમજ સગીરા અને ત્રીજી એક યુવતીને મળી અમિતને ફસાવવા માટે કાવતરું રચ્યું પૂજાની સહેલી ત્રીજી યુવતીને અમિતને ફસાવવા તૈયાર કરી પરતું તે પુખ્તવયની હોવાથી તેણે ના પાડી અમિતને પોક્સોમાં ફીટ કરવા માટે સગીરાને તૈયાર કરી અને પૂજા તેમજ સગીરાને બનાવ બને ત્યારે બન્ને વકિલ દિનેશ પાતર અને સંજય પંડિત મદદ માટે સાથે રહેશે અને જો પોલીસ અમિત સામેની ફરિયાદ માં ના પાડે અથવા ફરિયાદ નોંધવામાં મોડું કરે તો મીડિયાને બોલાવી મીડિયામાં સમાચાર આપી પોલીસ ઉપર દબાણ લાવવાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. આ મામલે સોશિયલ મીડિયા ચેનલ ચલાવતા એક પત્રકારની પણ સંડોવણી હોવાની શંકા છે.
પ્લાન મુજબ બાહુબલીની અત્યંત નજીકનો એક્સ નામના શખ્સે સગીરા અને પૂજાનો સંપર્ક કર્યો હતો અને અમિત ખૂંટ સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા દ્વારા રીક્વેસ્ટ મોકલી સૌ પ્રથમ મિત્રતા કેળવી સગીરાનું ઈન્સ્ટાગ્રામનું એક્સેસ આ એક્સ નામના શખ્સે પોતાની પાસે રાખી 10 દિવસ સુધી સગીરા બની અમિત સાથે ઈન્સ્ટાગ્રામમાં વાતચીત કરી અને બન્ને વચ્ચે જયારે ફોન નંબરની આપ-લે થઇ ત્યારબાદ અમિત ખુંટ જયારે સગીરાને ફોન કરતો ત્યારે સગીરા પોતે ફોન ઉપર વાતચીત કરતી અને ઈન્સ્ટાગ્રામમાં ષડયંત્રનો સુત્રધાર ચેટીંગ કરતો અમિત સાથે વિશ્વાસ કેળવ્યા બાદ રૂૂબરૂૂ મળવા બોલાવી સગીરાએ પ્લાન મુજબ તેની સાથે મરજીથી શરીરસંબંધ બાંધી ખોટી દુષ્કર્મની ખોટી ફરિયાદ કરી હતી. એક્સ સાથે છેલ્લા એક વર્ષથી પરિચરમાં આવેલ રાજકોટની પૂજા રાજગોરે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા અને આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં ફરાર રીબડાના અનિરૂૂધ્ધસિહ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિહ અનિરૂૂધ્ધસિહ જાડેજા સામે આ મામલે કાયદાનો ગાળિયો વધુ મજબુત બની રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા, ગોંડલ તાલુકાના પી.આઈ એ.ડી.પરમાર અને પીએસઆઈ એ.સી.ડામોર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો આ કેસની તપાસ ચલાવી રહી છે.
સ્યુસાઈડ નોટના અક્ષર અમિત ખુંટના હોવાનું સ્પષ્ટ થયું
રીબડા ગામના અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદ મૃતક અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં રીબડાવાળા અનિરૂૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને બે યુવતિના નામ હતા. આ સ્યુસાઇડ નોટ અમિતે નહી લખ્યાનું અનિરૂૂધ્ધસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું જોકે આ મામલે જિલ્લા પોલીસવડા હિમકર સિંહે આ જે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્યુસાઇડ નોટ એફએસએલમાં મોકલવામાં આવી છે અને અમિત ખુંટનું અન્ય લખાણ પણ પોલીસને મળ્યું છે જેની પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટમાં જે અક્ષર છે તે અમિત ખુંટના જ હોવાનું સ્પષ્ટ થાય છે છતાં આ મામલે એફએસએલ રીપોર્ટની રાહ જોવાની રહી છે.