કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવા બતાવી તૈયારી
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા તૈયારી કરી રહેલ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનનું ગાડુ હજુ જોતરાઈ રહ્યું નથી અને આપ તથા કોંગ્રેસના ગઠબંધનની આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક તરફી જાહેરાત કર્યા બાદ હજુ સુધી આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગેનીબેન ઠાકોરને ધારાસભ્યમાંથી સંસદમાં જવાની ઈચ્છા વ્યકત કરી છે.
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. અત્રે જણાવીએ કે, પક્ષ તરફથી ગેનીબેનના નામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આ મુદ્દે ગેનીબેનને લોકસભાની ચૂંટણી લડવા આગ્રહ કરાયાનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો દાવો પણ ધ્યાને આવ્યો છે. તો બીજી તરફ ગેનીબેનએ પણ પક્ષ ટિકિટ આપે તો તેમણે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.
તેમણે કહ્યું કે, હું માનું ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરોની લાગણી હોય છે સ્વભાવિક છે, જેમનો મારે આભાર માનવો જોઈએ. સાથે સાથે લોકસભાની ચૂંટણી કોણ લડશે તે કોંગ્રેસનો હાઈકમાન્ડ નક્કી કરશે. જે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અને હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહેશે.