કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, આવતીકાલે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાશે
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલા જ અમરીશ ડેરને પ્રદેશ કૉંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કેટલીક પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અંબરીશ ડેરે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને કહ્યું હતું કે, ‘હું હોદ્દા માટે કોઈ પક્ષમાં નથી જોડાઈ રહ્યો. ખાસ કરીને મને કોંગ્રેસના રામ મંદિર અંગેના વલણથી દુઃખ છે. મેં ભાજપમાં જોડાવા માટે કોઈ ડીલ નથી કરી.’ સૂત્રોના જણાવ્યાનુસાર, અંબરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચે, ગુરુવારે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે.
અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘હું કોંગ્રેસ પક્ષના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવીને લોકોની સેવા કરી છે. મને સહયોગ આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો.'