કોંગ્રેસે ગંદા પાણી વિતરણની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટ શહેરના પોશ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ ડહોળા અને ગંધાતા ગટરના પાણીનું વિતરણ થઈ રહ્યું હોય તેવી સતત ફરિયાદો મળતી રહે છે. શહેરના વોર્ડ 10,11,12,13,14 સહિતના અનેક વોર્ડમાં અને વિસ્તારોમાં ડહોળા અને ગંધાતા પાણીની વ્યાપક ફરિયાદો છે. ડીઆઇ પાઇપલાઇન ન હોવાને પગલે જે જૂની લાઈનો છે તે પચાસેક વર્ષ જૂની હોવાને પગલે ભંગાર અને ખખડધજ થઈ ગયેલ છે છાશવારે લાઈન ફોલ્ટ ની ફરિયાદો આવે છે તે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મૌજુદ છે.
શહેરમાં ગંધાતા, ગોબરા, ડ્રેનેજ લાઈનમાં પાણી પીવાની પાણીની લાઈન સાથે ભળી ગયા હોવાની વ્યાપક ફરિયાદો પણ કોલ સેન્ટરમાં નોંધાયેલી છે ત્યારે આ પ્રકારની ફરિયાદો ઉકેલવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે ગંધાતા અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ અંગે રાજકોટના કોઈપણ નાગરિકોને ફરિયાદ હોય તો તે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના હેલ્પલાઇન નંબર 94264 43511 પર આધાર પુરાવા સાથે ફરિયાદ કરી શકો છો અથવા બે નકલમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, જાગનાથ 41, રેસકોર્સ સામે, જિલ્લા પંચાયત ચોક, હોટલ લેમન ટ્રી વાળી શેરીમાં બે નકલમાં લેખિત ફરિયાદ તારીખ 16 મી માર્ચ 2025 પહેલા મોકલી આપવા અથવા રૂૂબરૂૂ સવારે 10 થી 1 સાંજે 4 થી 7 આપવી.
આવેલ તમામ ફરિયાદોના તાત્કાલિક નિરાકરણ આવે એ માટે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં ફોરવર્ડ કરી ઝોનના સીટી ઇજનેરને ધ્યાન દોરવામાં આવશે અને આગામી ધુળેટી બાદ આવેલ ફરિયાદો અંગે જે તે વોર્ડમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદકર્તાઓને સાથે રાખી આંદોલન કરવાનો તખ્તો ઘડવામાં આવશે.