રાજકોટમાં ચાલુ એસટી બસે કંડક્ટરને આવેલો હૃદયરોગનો હુમલો નિવડ્યો જીવલેણ
બનાસકાંઠાના કાનધર ગામના વતની અને હાલ અંબાજી રાજકોટ રૂૂટની એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પ્રૌઢ ગઈકાલે રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એસટી ડેપોમાં પેસેન્જર ઉતારતા હતા ત્યારે કંડક્ટરને હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. કંડકટરનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બનાસકાંઠાના કાનધર ગામના વતની અને એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા કનુભાઈ ધુડાભાઈ તરાલ નામના 49 વર્ષના પ્રૌઢ ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટમાં આવેલા અમૂલ સર્કલ પાસે એસટી ડેપોમાં અંબાજી રાજકોટ રૂૂટની એસટી બસમાંથી પેસેન્જર ઉતારતા હતા તે દરમિયાન બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી કનુભાઈ તરાલનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કનુભાઈ તરાલ છ ભાઈ અને ત્રણ બહેનમાં વચ્ચેટ હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
--