રાજકોટ-જેતપુર હાઇવે મુદ્દે મંગળવારે કલેક્ટર કચેરીને ઘેરાવ
હાઇવે હક આંદોલન સમિતિ દ્વારા એલાન: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતનાઓ વિરોધમાં જોડાશે
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે (NH-27) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, ધોવાઈ ગયેલા અને બિસ્માર રસ્તાઓ અને કલાકોના ટ્રાફિક જામની મુદ્દે હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા તારીખ 8 જુલાઈ, 2025ના રોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, ખેડૂતનેતા પાલ આંબલીયા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાઈને આંદોલનને મજબૂત સહારો આપશે અને સૌરાષ્ટ્ર વાસીઓના જનહિતના મુદ્દે તંત્ર સામે કડક મુદ્દે અવાજ ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ વખત નેશનલ હાઈવેના બિસ્માર હાલત અને આ મુદ્દે પીડાતા લોકોએ ઉઠાવેલા પ્રશ્નો અંગે નિવેદન આપ્યું છે.રાજકીય નિષ્ક્રિયતાથી એક વર્ષ સુધી તેમના પોતાનાં લોકસભા વિસ્તારમાં પણ લોકો હાલાકી ભોગવતા રહ્યા હતા. હવે કોંગ્રેસના આક્રમક આંદોલન બાદ તંત્ર અને કેન્દ્ર સરકાર જાગૃત થઈ છે તેવા આક્ષેપ કોંગ્રેસે અખબારયાદીમા જણાવી હતી.
રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના સતત દબાણ અને લોકચલવળ પછી કેન્દ્ર સરકારે દયનિય રોડ પરની ટોલ વસૂલાત મુદ્દે પગલાં લઈને ટોલની 50% વસૂલાત ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે પરંતુ પણ હજી લોકો સંપૂર્ણ રાહત માંગે છે.
થોડા દિવસ અગાવ જ કોંગ્રેસના નેતાઓ દ્વારા NHAIની કચેરીએ હલ્લાબોલનો કાર્યક્રમ કરી પ્રોજેક્ટ ડાયરેક્ટરના પૂતળાનુ દહન કરવામાં આવ્યું હતુ અને તેઓએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી કે જ્યા સુધી લોકોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે.
શું છે આ આંદોલનની મુખ્ય માગણીઓ
બિસ્માર અને અધૂરા હાઈવે પર ગેરકાયદેસર ટોલ વસૂલાત બંધ કરો
NHAI ના નિયમો મુજબ ટોલ પ્લાઝાનું અંતર અને વ્યવસ્થા સુધારો
Work zone safety ના નિયમો અમલમાં લાવો
ટ્રાફિક વ્યવસ્થા સુધારો, અકસ્માત નિવારવા કડક પગલાં લો
કાયદેસર વળતર અને ઈમર્જન્સી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવો