આવશ્યક વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રાંત અધિકારીને કલેક્ટરની સૂચના
અનાજની સંગ્રહખોરી ઉપર નજર રાખવા તાકીદ, સંસ્થાઓ સાથે પણ બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરોને જરૂૂરી વ્યવસ્થા કરવા આદેશ જારી કર્યા છે. આ આદેશના પગલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લા અને શહેરમાં તમામ આવશ્યક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રાંત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રાંત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જીવન જરૂૂરિયાતની વસ્તુઓ જેમ કે રાશન, અનાજ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓનો સંગ્રહ ન કરે. આ બાબતે ચાંપતી નજર રાખવા પણ આદેશ કરાયો છે. વધુમાં, જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેર વિસ્તારમાં રાશન અને તેલ સહિતની તમામ જીવન જરૂૂરિયાતની વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, આજે સાંજે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં યુદ્ધની સ્થિતિમાં જો ફૂડ પેકેટની જરૂૂર પડે તો તેની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાનારી આ બેઠકમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહેશે અને શક્ય સહાય અંગે વિચારવિમર્શ કરશે.