સરકારી હોસ્પિટલોમાં કફન-શબપેટીના ઉઘરાણા બંધ
પોસ્ટમોર્ટમ સબંધિત કોઇપણ કામગીરીની ફી નહીં વસૂલવા સરકારનો પરીપત્ર
દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવા તાકીદ
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ સંબંધિત એક મહત્વનો પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં હોસ્પિટલોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોસ્ટમોર્ટમ વખતે કફન કે અન્ય સામગ્રીના નામે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં ન આવે.
આ ઉપરાંત, રાત્રે કે દિવસે નિયત સમયમર્યાદામાં પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવા અને મૃતકના સગા-સંબંધીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો આ સૂચનાઓનું પાલન નહીં થાય તો હોસ્પિટલના સક્ષમ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયાને વધુ પારદર્શી અને લોકો માટે સરળ બનાવવા માટે આ પરિપત્ર જારી કર્યો છે. રાજ્યભરમાં અગાઉ કેટલીક ફરિયાદો સામે આવી હતી, જેમાં હોસ્પિટલો દ્વારા પોસ્ટમોર્ટમ દરમિયાન કફન, શબપેટી કે અન્ય સામગ્રીના નામે નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું જણાયું હતું. આવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે આવી કોઈપણ વસૂલાત ગેરકાયદેસર છે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે.
પરિપત્રમાં એવું પણ જણાવાયું છે કે, પોસ્ટમોર્ટમ પ્રક્રિયા રાત્રે કે દિવસે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવી જરૂૂરી છે. અગાઉ કેટલીક હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમમાં વિલંબ થવાના કારણે મૃતકના સગા-સંબંધીઓને લાંબી રાહ જોવી પડતી હતી, જેનાથી તેમની માનસિક પીડા વધતી હતી. આ સમસ્યાને નિવારવા માટે આરોગ્ય વિભાગે હોસ્પિટલોને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
પોસ્ટમોર્ટમ એ એક સંવેદનશીલ પ્રક્રિયા છે, અને આ સમયે મૃતકના સગા-સંબંધીઓ માનસિક આઘાતમાં હોય છે. આને ધ્યાનમાં રાખીને, વિભાગે હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓને મૃતકના પરિવારજનો સાથે સૌજન્યપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવાની સૂચના આપી છે. કેટલાક કિસ્સાઓમાં, હોસ્પિટલ સ્ટાફના ઉદ્ધત વર્તનની ફરિયાદો સામે આવી હતી, જેના કારણે આ સૂચના ખાસ કરીને જારી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો આ પરિપત્રની સૂચનાઓનું પાલન નહીં થાય, તો હોસ્પિટલના સક્ષમ અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આમાં સસ્પેન્શન, નોકરીમાંથી બરતરફી કે અન્ય કાનૂની પગલાંનો સમાવેશ થઈ શકે છે. આ નિર્ણયથી હોસ્પિટલોમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયાને વધુ પારદર્શી અને લોકો માટે સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
