સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર વચ્ચે ફડાકાવાળી
સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની છે. ગત બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલયમાં આવ્યા હતા. ત્યારે ચા-નાસ્તા મુદ્દે પટાવાળા જોડે બબાલ થઈ હતી. ત્યારબાદ પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને આ અંગે જાણ કરી હતી. ખજાનરી શૈલેષ અને દિનેશ સાવલિયા વચ્ચે વિવાદ શરૂૂ થયો હતો. ત્યારબાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને ફડાકો મારી દીધો હતો. આ ફડાકા કાંડ બાદ સુરત ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે દિનેશ સાવલીયાને નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ભાજપ કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં ફડાકો માર્યો હતો. આ ઘટના બાદ કાર્યાલયમાં હાજર અન્ય લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આ ઘટના ભાજપ કાર્યાલયમાં બીજા માળે આવેલા વેઇટિંગ રૂૂમમાં બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યુ કે, હું ખજાનચી છું અને મારે બધુ જોવાનું છે, તારે અહીં વધારે આંટાફેરા કરવા નહીં.
બંને વચ્ચે આ વાતચીત ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ પણ જોઈ રહ્યા હતા. ત્યારબાદ શૈલેષે અચાનક દિનેશને ધક્કો માર્યો હતો. ત્યારબાદ દિનેશે લાફાવાળી શરૂૂ કરી હતી. વાયરલ વીડિયોમાં બંને સામને-સામને આવી જતાં જોવા મળે છે.