અંજનશલાકાને લઇને જૈનોના બે સંઘો વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ
ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ઘટનાએ જૈન સમાજને હચમચાવી દીધો છે. જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિહાર કરી રહ્યાં હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. ઝવફફિમ થી 14 કિમીના અંતરે આવેલા એક ગામે દેરાસરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ હતો. ગત 22 ફેબ્રુઆરીના ભગવાન મહાવીર સ્વામી ની પ્રતિમાને અંજનશલાકા કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને બે તિથિ અને ત્રિસ્તુતિક વચ્ચે વિવાદ હતો. અંજનશલાકા સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ આ વિવાદને નહીં ભૂલેલા કેટલાંક તત્વોએ પૂર્વઆયોજીત કાવતરૂૂં રચીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
થરાદ પાસે આવેલા જેતડા ગામે 45 વર્ષ પહેલાં દેરાસર બનાવાયું હતું. વાસ્તુના કારણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેતડા ગામે બે તિથિ અને ત્રિસ્તુતિક એમ બંને સંઘમાં માનનારા પરિવારો રહે છે. દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જુની પ્રતિમાને અંજનશલાકા કરવા માટે બે તિથિ ગચ્છના કીર્તિયશસુરીશ્વરજી મહારાજને નિમંત્રિત કરાયા હતા. ગત 22 ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમ અગાઉ બંને ગચ્છ વચ્ચે સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર વોર ચાલ્યું હતું. મામલો થરાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ વિવાદને લઈને થરાદ પોલીસને જેતડા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
વિહાર કરી રહેલાં કીર્તિયશસુરીશ્વરજી મ.સા. તેમના અનુયાયીઓ પર હિંસક હુમલો થવાની ભીતિ હોવાથી પોલીસ લાઠી સાથે બંદોબસ્તમાં રહી હતી. એક તબક્કે ટોળાને ઉશ્કેરી પ્રથમ પોલીસને નિશાન બનાવવાની કેટલાંક તત્વોએ કોશિષ કરી હતી. કેટલાંક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ મામલો હજી સુધી પોલીસ ચોપડે પહોંચ્યો નથી.
જૈન ધર્મમાં એક તિથિ, બે તિથિ અને ત્રિસ્તુતિક એમ ત્રણ ભાગ પડેલા છે. પચાસેક વર્ષ અગાઉ એક જ ગચ્છ (સંઘ) હતો. બે તિથિ અને ત્રિસ્તુતિક વચ્ચે છેલ્લાં 15 વર્ષમાં વિવાદ વકર્યો છે. વિવાદ પાછળનું કારણ જૈન સમાજ પર વર્ચસ્વ ધરાવવાનું છે. થરાદ ખાતે થયેલી એક મીટિંગમાં બે તિથિને ઉધઇ ગણાવી અને સમસ્ત બે તિથિ સમાજનો બહિષ્કાર કરવાની ચર્ચા થઈ છે. અત્યાર સુધી બે સંઘ વચ્ચેનો વિવાદ ક્યારેય જાહેર થયો ન હતો. થરાદ જૈન સમાજના કેટલાંક તત્વોએ વિહાર સમયે મહારાજ સાહેબ સાથે કરેલું અશોભનીય વર્તન અને તેના વાયરલ થયેલા વિડીયો આખા સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહારાજ સાહેબને આતંકવાદી ગણાવી હુરિયો બોલાવ્યો
જેતડા ગામે દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જુની પ્રતિમાને અંજનશલાકા કર્યા બાદ કીર્તિયશસુરીશ્વરજી મ.સા. વિહાર કરતા થરાદ પહોંચ્યા હતા. થરાદ ગામે ત્રિસ્તુતિક ગચ્છની બહુમતિ હોવાથી થરાદ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે, જૈન સમાજના કેટલાંક તત્વોએ પૂર્વઆયોજીત કાવતરૂૂં રચીને મહારાજ સાહેબ વિહારમાં નીકળ્યા ત્યારે એક મોટા ટોળાએ તેમને ઘેરી લઈ અશોભનીય ભાષાનો પ્રયોગ કરી હુરિયો બોલાવ્યો હતો. મહારાજ સાહેબને સફેદ કપડામાં આતંકવાદી ભાગ્યો તેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ઉપરાંત ક્યારેય થરાદ આવવું નહીં તેવી ધમકી ટોળાએ ઉચ્ચારી હતી.