લાખોટા તળાવની કેનાલમાં ઠલવાતું કેમિકલયુક્ત અને હાનિકારક પાણી
- જીઆઈડીસીના ઉદ્યોગો દ્વારા કેમિકલવાળું પાણી છોડાઈ રહ્યું છે અને મનપા તંત્ર સાવ અંધારામાં..?
જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં પાણીની આવક રણજીતસાગરમાંથી કેનાલ દ્વારા થાય છે. દરેડ પાસેની આ મુખ્ય કેનાલમાં જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પરિણામે લાખોટા તળવામાં પાણીના મુખ્ય સ્ત્રોત સમાન આ કેનાલમાં દુર્ગંધમારતું, હાનિકારક કાળું પાણી વહી રહ્યું છે. જે પાણી તળાવમાં ઠલવાતા લાખોટા તળાવની આસપાસના બોર-કૂવા-ડંકીમાં આવતા પાણી આરોગ્યને હાનિકારક થવાની પૂરી દહેશત છે. ઔદ્યોગિક એકમોએ તેમના કેમિકલ યુક્ત પાણી, કચરો વગેરેના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા કરવાની હોય છે, તેમ છતાં આવા ઔદ્યોગિક, એકમો આ કેનાલમાં ખુલ્લેઆમ હાનીકારક કેમિકલવાળું પાણી છોડી રહ્યા છે. આવી સ્થિતિ હોવા છતાં જામનગર મહાનગરપાલિકાનું અંધેર તંત્ર સાવ અંધારામાં છે... અત્યારે તો મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓ, કોર્પોરેટરો, સત્તાધારી ભાજપના સ્થાનિક નેતાઓ સૌ કોઈ આગામી લોકસભાની ચૂંટણી માટે પક્ષના ઢગલાબંધ કાર્યક્રમો, સરકારી મેળાવડાઓમાં અતિ વ્યસ્ત છે. લાખોટા તળાવનું પાણી સંપૂર્ણપણે ’કાળું થઈ જશે. ત્યારે કદાચ જાગશે?