TRP અગ્નિકાંડ કેસમાં 15 આરોપી સામે ચાર્જફ્રેમ
ગેમઝોનમાં ભભૂકેલી આગમાં 27 લોકોના મોત નીપજતા 16 જવાબદારો સામે ગુનો નોંધાયો’તો
એટીપી ચૌધરી ઉપર કોર્ટે 20 હજારની કોસ્ટ નાખતા મુદત અરજી પાછી ખેંચી લીધી, 31મી જુલાઇથી કેસ શરૂ થશે
રાજકોટ સહિત રાજ્યભરમાં અરેરાટી મચાવનાર ટીઆરપી અગ્નિકાંડના કેસમાં ચાર્જશીટ રજૂ કર્યાનું એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ આજે કોર્ટમાં કેસ ચાર્જફ્રેમ કરવામાં આવ્યું હતું. જેમાં એક આરોપીએ મુદત માંગતી અરજી કર્યા બાદ પરત ખેંચી લીધી હતી. અગ્નિકાંડ કેસમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ કબૂલ કરવા માટે કેસ મેનેજમેન્ટની કાર્યવાહી કરવા આગામી 31 મી જુલાઈ મુકરર કરવામાં આવી છે. રાજ્યભરમાં બનેલી અઘટિત ઘટનાઓમાં પ્રથમ વખત ચકચારી બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ઝડપથી ચાર્જ ફ્રેમ થયો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25/5/2024ની સાંજે આગ લાગતા 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આઇપીસી 304, 308, 337, 338, 36, 46, 466, 471, 474, 201, 120બી, 114 મુજબ ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલભાઇ ભરતભાઇ ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગ્નિકાંડની ઘટનામાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા. ચકચારી બનેલા અગ્નિકાંડ કેસમાં પોલીસે સમયગાળા કરતા 60 દિવસ વહેલા ચાર્જશીટ તૈયાર 24/7/2024 ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જે અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ બાદ આજે અદાલતમાં કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જયદીપ ચૌધરીએ મુદત માંગતા કોર્ટે રૂૂ.20 હજારનું કોસ્ટ કહેતા આરોપી જયદીપ ચૌધરીએ મુદત અરજી પાછી ખેંચી લીધી હતી.
અગ્નિકાંડ કેસમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ કબૂલ કરવા માટે કેસ મેનેજમેન્ટની કાર્યવાહી કરવા આગામી 31 મી જુલાઈ મુકરર કરવામાં આવી છે. રાજ્યભરમાં બનેલી અઘટિત ઘટનાઓમાં પ્રથમ વખત ચકચારી બનેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ઝડપથી ચાર્જ ફ્રેમ થયો છે. અગ્નિકાંડ કેસમાં ઝડપી તહોમતનામું ફરમાવવામાં આવતા સરકાર પક્ષે અને આરોપીઓના બચાવ પક્ષે કાનૂની જંગ જામશે. આ કેસમાં સરકારે સ્પે. પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પે.પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.