થાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસ
થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલના સમયે સીજીએસટીના ચેકિંગને બહાને આવતા અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો તોબા પોકારી ઊઠ્યા છે.
આ પ્રશ્નના હલ માટે રવિવારે થાનમાં પાંચાલ સિરામિક એસોસીએસનની બેઠક બોલાવાઈ હતી. જેમાં 200થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. કનડગત બંધ નહીં કરાય તો દિલ્હી સુધી રજૂઆત કરીને લડી લેવાની તૈયારીઓ કરી હતી.
આ બેઠકમા પાંચાળ સિરામિક એસોસિએસનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરાએ જણાવ્યું કે આપણું ઉદ્યોગ તે લઘુ ઉદ્યોગમાં આવે છે જેના માટે આપણે આગળ જતા જીએસટીનો દર કેમ ઓછો થાય અને આપણને બીજા ધંધાકીય લાભ કેમ મળે તે માટે ખાસ મહેનત કરવાની રહેશે. પાંચાલ સિરામિક એસો.ના ઉપ પ્રમુખ શાંતીલાલ પટેલ, વિજયભાઇ ભગત, લઘુઉદ્યોગ ભારતી પ્રદેશ મંત્રી સંજયભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
થાન સિરામીક ઉદ્યોગમાં એવું કહેવામાં આવે છે કે સીજીએસના ચેકિંગના બહાને આવેલા અધિકારીઓએ જુદા જુદા કારખાનામાં નાના મોટા ફોલ્ટ બતાવીને અલગ અલગ રકમના તોડ કર્યા હતા. 4થી 5 કારખાનામાં મળીને કુલ રૂૂ.1.35 કરોડના તોડ થયાનું કહેવામાં આવે છે. આ બાબતે તપાસ થાય તો સાચી વિગતો બહાર આવે.