સેન્ટ્રલ જેલના કેદી, મહિલા-શ્રમિક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો
ભાણવડના હત્યાના ગુનામાં સજા ભોગવતા પાકા કામના કેદી, મહેશ્ર્વરી સોસાયટીમાં મહિલા અને કોઠારિયા સોલવન્ટમાં યુવાનને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
ગુજરાત મિરર, રાજકોટ તા.8
રાજકોટ સહિત રાજ્ય ભરમાં હાર્ટએટેકના કેસનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સેન્ટ્રલ જેલના કેદી સહિત વધુ ત્રણ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. ભાણવડમાં હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં સજા ભોગવતા વૃદ્ધ કેદી, મહેશ્ર્વરી સોસાયટીમાં મહિલા અને કોઠારીયા સોલવન્ટના યુવાનનુ હાર્ટએટેકથી મોત થયુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ પોપટપરા જિલ્લા જેલમાં રહેલા પાકા કામના કેદી મેરામભાઇ રામાભાઇ ડાંગર (ઉ.વ.69)નામના વૃદ્ધ કેદી ગઇકાલે રાત્રે નવી જેલમાં પોતાને બેરકમાં હતા ત્યારે અચાનાક બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાર ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતુ. આ અંગે પ્રનગર પાોલીસ મથકના પીએસઆઇ જે.બી. રાણીંગા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. મૃતક કેદી મુળ ભાણવડના કલ્યાણપુરના વતની હોવાનું અને વર્ષ 2016માં ભાણવડમાં હત્યા નીપજાવવાના ગુનામાં સજા પડતા છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ જેલમાં સજા કાપી રહ્યા હતા.
જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલી મહેશ્ર્વરી સોસાયટી શેરી નં.1માં રહેતા અમીતાબેન સંજયભાઇ અજાગીયા (ઉ.વ.40)નામના મહિલા ગઇકાલે રાત્રે પોતાના ઘરે સુતા બાદ જગાડવા જતા તેઓ ઉઠતા નહીં હોવાથી બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યુ હતુ. રાત્રે ઉંધમાં જ હાર્ટ એટેક આવી જતા મોત નીપજયાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું અને પતિ લાદી કામ કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતુ.
જયારે ત્રીજા બનાવમાં મુળ બિહારના અને હાલ કોઠારીયા સોલવન્ટમાં આવેલા આવાસ કવાર્ટરમાં રહેતો ધર્મેન્દ્ર દેવકુમાર પાસવાન (ઉ.વ.30)નામનો યુવાન રાત્રે સુતા બાદ સવારે ઉઠયો જ ન હતો જેથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસડેવામાં આવતા તબીબોએ હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું જણાવ્યું હતુ.