રાજકોટ જેલમાં નશામુક્તિ અભિયાન અંતર્ગત શિબિર યોજાઇ
યુવાધનને નશાની બદીથી બચાવવા ‘નશામુક્તિ અભિયાન’ અને ‘સ્વદેશી અપનાવો’ કાર્યક્રમનું આયોજન કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે, તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન, કેન્દ્ર સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સેવા પખવાડાની ઉજવણી દેશભરમાં આયોજિત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત યુવાધનને નશાની બદીથી બચાવવા નશા મુક્તિ અભિયાન તેમજ સ્વદેશી અપનાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે કેન્દ્ર સરકારના યુવા અને ખેલકૂદ વિભાગ દ્વારા દેશના વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોને સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ’સુફી ઇસ્લામિક બોર્ડ’ (જઈંઇ) ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય સાથે સંલગ્ન રહીને ગુજરાતની વિવિધ જેલોમાં નશા મુક્તિ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ અંતર્ગત, આજ તારીખ 1 ઓક્ટોબર 2025ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે નશાના ગુના હેઠળ જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો માટે નશા મુક્તિ શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં બંદીવાનોને નશાનો ત્યાગ કરવા વિહંગ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈ દવે, રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક વાગીશા જોશી, ગુજરાત પ્રદેશ ભાજપ મિડીયા ટીમના સદસ્ય જાણીતા કટારલેખક તથા ભારત સરકાર દ્વારા અનુદાનિત સંસ્થા રક્ષા અધ્યયન તેમજ વિશ્ર્લેષણ સંસ્થાન, નવી દિલ્લીના પ્રખ્યાત રક્ષા વિશેષજ્ઞ હિરેનભાઈ કોટક, ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સભ્ય રફીકભાઈ લિમડાવાલા, સુફી ઇસ્લામિક બોર્ડના ગુજરાત અધ્યક્ષ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને વક્રફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય અનવરહુસેન શેખ, તથા ગુજરાત હાઈકોર્ટના પેનલ એડવોકેટ અમન શેખનાઓ ઉપસ્થિત રહી બંદીવાનોને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમ બહોળી સંખ્યામાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.