જામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતા એક લોહાણા વેપારીએ પોતાની નવ વર્ષ જૂની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં ગાયત્રી મંદિરની સામે ઉમિયા નગરમાં રહેતા અને ઘડિયાળ તેમજ ચશ્માની દુકાન ચલાવતા અમિતકુમાર હસમુખભાઈ ગઢેચા નામના 48 વર્ષના લુહાણા વેપારીએ આજે સવારે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતક ના કાકા મહેશકુમાર જમનાદાસ ગઢેચાએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.કે કંડોરીયા તેમની ટિમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક વેપારી છેલ્લા નવેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ પોતે આ પગલું ભરી લીધું છે, તેવું જાહેર થયું છે.