રાજકોટમાં બિલ્ડરનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી નીપજતા મૃત્યુના બનાવો વધતા ચિંતા પ્રસરી છે ત્યારે રાજકોટમાં વધુ એક બિલ્ડરનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા રણુજા મંદિર પાસે સુરભી રેસીડેન્સીમાં રહેતા કિરીટભાઈ હિમતલાલ સેંજલીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિરીટભાઈ સેંજલીયા બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને બિલ્ડર હતા. કિરીટભાઈને સંતાનમાં એક પુત્ર છે કિરીટભાઈ સેંજલીયાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.