રાજકોટ-સુરતના અમુક પીડિત પરિવારો દ્વારા ન્યાય યાત્રાનો બહિષ્કાર
ન્યાયયાત્રામાં જવાથી ન્યાય મળવાનો નથી, રાહુલ ગાંધી આવે તો પણ નહીં જોડાવાની જાહેરાત
કોંગે્રસ દ્વારા આજે મોરબીથી ગાંધીનગર સુધીની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, મોરબીનો પુલ કાંડ, બરોડાના હરણીકાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને ન્યાય અપાવવા ન્યાયયાત્રાનો પ્રારંભ કરેલ છે અને રવિવારે આ ન્યાયયાત્રા રાજકોટ આવનાર છે તે પૂર્વે આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનાં કેટલાક પીડિતોએ અચાનક કોંગ્રેસની ન્યાયયાત્રામાં નહીં જોડાવા જાહેરાત કરી પોતાને ન્યાય જોઇએ છે પણ રાજકારણ કરવામાં ન આવે તેવી લાગણી વ્યકત કરી હતી.
અમિતાબેન મોડાસીયા, અશોકભાઇ મુછાળા, પ્રદિપસિંહ ચુડાસમા સહિત અમુક પીડિતોએ જણાવ્યું હતું કે, ન્યાયયાત્રામાં જવાથી ન્યાય મળવાનો નથી. અમારી માંગણી સરકારે સ્વીકારી છે. કોંગે્રસ માત્ર રાજકારણ કરે છે.
પીડિતોએ જણાવ્યું હતું કે, અમને ન્યાયીક પ્રક્રિયા માટે થનાર ખર્ચમાં સરકાર સહયોગ આપે અને સ્5ેશિયલ પી.પી.ની નિમણુંક કરે તેવી અમારી માંગણી છે અને આ માંગણી સરકાર જ પૂરી કરી શકે, કોંગે્રસ નહીં.
બીજી તરફ સુરતની તક્ષશિલા કાંડના પીડિત પરિવારે પણ અપીલ કરી છે કે દુર્ઘટનાને રાજકીય અખાડો બનાવવો જોઇએ નહી. તક્ષશિલા દુર્ઘટના પિડીત પરિવારોએ એલાન કર્યું હતું કે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતે જોડાશે તો પણ તેઓ યાત્રામાં જોડાશે નહી.
પીડિત પરિવારોએ કહ્યું હતું કે લાશો પર રાજનિતી કરવી હોય તો અમે તેમના સમર્થનમાં નથી. અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. કોંગ્રેસને 5 વર્ષ બાદ તક્ષશિલાના પીડિત પરિવારોની યાદ આવી, કોંગ્રેસની રાજનીતિથી પીડિત પરિવાર વ્યથિત છે. તેમણે માંગણી કરી છે કે ડે ટુ ડે કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની પણ માંગ કરી છે.
જોકે, પીડિત પરિવારોના અચાનક ફરેલા વલણ પાછળ પણ રાજકારણ હોવાનું કહેવાય છે. કોંગે્રસની ન્યાયયાત્રાના પગલે ભાજપના નેતાઓએ વાતાવરણ ફેરવ્યાનું મનાય છે.