મનપા કચેરીની બન્ને લિફ્ટ બંધ, દિવ્યાંગો લાચાર
પદાધિકારીઓ-અધિકારીઓની લિફ્ટ ટનાટન, અરજદારોને પગથિયાં ચડવાની સજા
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ તથા વિભાગિય સ્ટાફ માટે ચાર લીફ્ટ કાર્યરત છે. જન્માષ્ટમીના તહેવારોની રજા બાદ કચેરી ધમધમવા લાગી છે. પરંતુ અરજદારો અને સ્ટાફ માટે મુકવામાં આવેલ બન્ને લીફ્ટ છેલ્લા 3 દિવસથી બંધ થઇ જતા દિવ્યાંગો લાચાર બની ગયા છે. અધિકારીઓ અને પદાધિકારીઓની લિફ્ટ ચાલુ હોય અરજદારોની વેદાના તેમના કાન સુધી ન પહોંચતા સ્ટાફમાં ગણગણાટ ચાલુ થઇ ગયો છે.
મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ત્રણ માળની બનાવવામાં આવી છે. દરેક માળ ઉપર અલગ-અલગ વિભાગની ઓફીસો આવેલી છે. જેમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રથમ માળ ઉપર મુખ્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશરની ચેમ્બરો આવેલી છે. જેના માટે અલગથી લિફ્ટ મુકવામાં આવી છે.
પરંતુ નીચાના સ્ટાફ તેમજ અરજદારો માટે મુકવામાં આવેલ બન્ને લીફ્ટ છેલ્લા 3 દિવસથી બંધ હોવાનું જાણવા મળેલ છે. કર્મની કઠણાઇ છે. કે આરોગ્ય વિભાગ તેમજ લગ્નનોંધણી વિભાગ સહિતની ઓફીસો ત્રીજા માળે આવેલ હોય અરજદારોએ ફરજિયાત લીફ્ટનો ઉપયોગ કરવો પડે છે. ખાસ કરીને દિવ્યાંગ તેમજ સિનિયર સિટિઝનો અને બીમાર લોકોને લીફ્ટમાં પ્રથમ અગ્રતા આપવામાં આવતી હોય છે. પરંતુ લીફ્ટ બંધ રહેતા અનેક દિવ્યાંગ અરજદારો કામ ર્ક્યો વગર પરત ફરી રહ્યા છે. તેવી જ રીતે સિનિયર સિટિઝનોએ આ બાબતથી ફરિયાદો કરી છે. છતાં તંત્ર દ્વારા કોઇપણ કારણોસર આજ સુધી લીફ્ટ ચાલુ કરવામાં આવી નથી.
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બંન્ને લીફ્ટ બંધ થઇ ગયાની જાણકારી તમામ કર્મચારીઓ પાસે છે છતા આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી શક્તા નથી. જેની સામે ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરો પ્રથમ માળે હોવાથી તેઓ પગથિયા ચળીને જઇ શકે છે અથવા તેમને ફળવવામાં આવેલ લિફ્ટનો ઉપયોગ કરી શકે છે. પરંતુ અરજદારો અને સ્ટાફની વેદના તેમના ધ્યાને આવતી નથી.