મિત્રો સાથે ન્હાવા ગયેલા યુવાનની આજી નદીમાંથી લાશ મળી: હત્યાનો આક્ષેપ
શહેરના કુબલીયા પરામાં રહેતો યુવાન ગઇકાલે મિત્રો સાથે આજીનદીમાં ન્હાવા ગયા બાદ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે સવારે આજીનદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ઘરે ન આવતા જે મિત્રો સાથે ગયો હતો. તેની પુછપરછ કરતા અમને ખબર નથી તેવો જવાબ આપ્યો હતો. જયારે આ મિત્રોને અગાઉ મૃતકના ભાઇ સાથે પણ ઝઘડો થયો હોય જેથી પરિવારજનો દ્વારા યુવાનની હત્યા કરાયાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કુબલીયાપરા શેરી નં.5માં રહેતો અમીત રાજુભાઇ મકવાણા (ઉ.વ.22)નામનો યુવાન ગઇકાલે બપોરે તેના મિત્ર સુજલ અને વિશાલ ઉર્ફે ગેડરો સાથે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવની પાછળ આવેલી આજીનદીમાં ન્હાવા અને મચ્છી પકડવા ગયા હતા. બાદમાં મોડીર રાત સુધી અમતી ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરી હતી. અમીતનો મોટોભાઇ વીકી સુજલ અને વિશાલના ઘરે ગયો હતો અને બંન્ને અમીત કયા છે.? તે બાબતે પુછતા બંનેએ અમને ખબર નથી તેમ જણાવ્યુ હતુ. જેથી અમીતની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે આજીનદીમાંથી અમીતનો મૃતદેહ મળી આવતા પરિવાજનો અને આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
મૃતક અમીત બે ભાઇ ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો તે છુટક મંજૂરી કરતો મૃતકના પરિવારજનો દ્વારા અમીતની હત્યા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મૃતકના ભાઇ વીકીને અગાઉ સુજલ અને વીશાલ સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને શખ્સોએ અમીતને પાણીમાં ડૂબાડી હત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો ફોરેન્સીક પીએમ કરી વધુ તપાસ હાથ ધરી હતી.