ધોરાજી નજીક કારના ચાલકે ઉલાળતા બાઇકચાલકનું મોત
ધોરાજી-જેતપુર રોડ પર આવકાર ચોકડી પાસે પુર ઝડપે આવી રહેલા કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઇકના ચાલકને શરીરે ગંભીર ઇજા થતા તેમને અમદાવાદની હોસ્પીટલે ખસેડવા એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવતા તેમનું રસ્તામાં જ મોત નીપજયું હતું.આ સમગ્ર બનાવમાં અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.બનાવની વધુ વિગતો અનુસાર ધોરાજીના ફરેણી રોડ પર શંકર મંદીરની સામે રહેતા મહેશ આંબાભાઇ સરવૈયા (ઉ.29) નામના શ્રમિક યુવાન પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે ધોરાજી પાસે આવકાર ચોકડી નજીક કારના ચાલકે ઠોકરે લેતા બાઇકનો ચાલક મહેશ રસ્તા પર ફંગોળાયો હતો અને તેમને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે અમદાવાદ એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવતા રસ્તામાં જ મહેશભાઇએ દમ તોડી દીધો હતો. આ અકસ્માત સર્જનાર કારના ચાલક ઇમરાન ગુલાબ ધંધુકીયા (રહે.જેતપુર) સામે ગુનો નોંધાયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે.