ગુજરાતભરમાં ફટાકડા ફોડવા કે, ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ
લગ્ન પ્રસંગો-વરઘોડામાં પણ મનાઈ: ગૃહમંત્રી હર્ષ સંઘવી
કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મમ હત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા અઘોષિત યુદ્ધના કારણે ગુજરાતના કચ્છ-બનાસકાંઠા, જામનગર સહિતના સરહદી જિલ્લાઓમાં પાકિસ્તાની ડ્રોન કે મિસાઈલ પડવાનો ખતરો હોવાથી શરહદી જિલ્લાઓને હાઈએલર્ટ ઉપર મુકવામાં આવ્યા છે. તેમજ ગુજરાતભરમાં યુદ્ધ અંગે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે બપોરે તેના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યભરમાં કોઈપણ પ્રસંગોમાં ફટાકડા ફોડવા કે ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ 15 મે સુધી લાગુ કરવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાયએ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈ.જી., જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. બેઠકમાં હાલમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વખતે અલગ અલગ સોશિયલ મીડિયાના મારફતથી ગેરમાહિતીઓ ફેલાવતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની પણ સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને 15 મે સુધી જાહેર કાર્યક્રમો, સમારંભ, કે, લગ્ન પ્રસંગોએ પણ ડ્રોન અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.