રાજકોટના યુવકને મરવા મજબૂર કરવાના કેસમાં વિરમગામના PSIની જામીન અરજી રદ
દારૂના ગુનામાં ખોટી રીતે ફસાવી 10 લાખનો તોડ કરવા ધાકધમકી આપતા યુવાને વીડિયો વાઇરલ કરી આત્મહત્યા કરી’તી
રાજકોટના મિસ્ત્રીને વિરમગામ પંથકમાં વિદેશી દારૂના ગુનામાં ખોટી રીતે ફસાવી 10 લાખનો તોડ કરવા ધાકધમકી આપી આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા વિરમગામના પી.એસ.આઇ. હિતેન્દ્ર મોહનભાઈ પટેલે નાછૂટકે સરન્ડર થયા બાદ તેની રેગ્યુલર જામીન અરજી ગોંડલ અદાલતે ફગાવી દીધી છે.
આ અંગે ફરિયાદની હકીકત મુજબ, રાજકોટમાં મિસ્ત્રીકામ કરતા દીપક હરજીવનભાઈ ધ્રાંગધરીયા પાસેથી અગાઉ વિરમગામના રુરલ પીએસઆઇ હિતેન્દ્ર મોહનભાઈ પટેલે પ્રોહિબિશનનાં કેસમાં રૂા.3 લાખનો તોડ કર્યો હતો, ત્યારબાદ અન્ય કોઈકનો દારૂૂ પકડાયાના કિસ્સામાં પણ દીપક ધ્રાંગધરીયાનું નામ છે.
તેમ કહી રૂા.10 લાખની માંગણી કરી ધાક ધમકી આપતા હોય, જેથી દીપક ધાંગધરીયાએ રાજકોટ પોલીસ કમિશનરને સંબોધીને વિરમગામનાં રૂૂરલ પોલીસ સબઈન્સ્પેકટર પટેલથી ત્રાસીને આત્મહત્યા કરતો હોવાનું જણાવતો વિડીયો બનાવેલ અને ત્યારબાદ ખાંભા ગામે મોગલ માતાનાં મંદિર પાસે લોધીકાના ગળાફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે મૃતકના પત્ની અલ્પાબેન દીપકભાઇ ધ્રાંગધરીયાએ તા.23/02/2024ના રોજ લોધિકા પોલીસ સ્ટેશનમાં મરી જવા મજબૂર કરવા બાબતે વિરમગામ રૂરલ પી.એસ.આઇ. હિતેન્દ્ર મોહનભાઈ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં આરોપી ફોજદાર હિતેન્દ્ર પટેલે ધરપકડથી બચવા ગોંડલ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીઓ નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં કરેલી જામીન અરજી પાછી ખેંચવી પડી હતી. ત્યારબાદ આરોપી ફોજદાર હિતેન્દ્ર પટેલે લોધિકા પોલીસમાં સરન્ડર થવું પડ્યું હતું. જેમાં તેમાં આરોપી સામે ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે થયેલ હતા.
ત્યારબાદ આરોપીએ ગોંડલ સેશન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેમાં આરોપીના વકીલે રજૂઆતો કરી હતી તેમજ મુળ ફરિયાદીનાં એડવોકેટ સ્તવન જી. મહેતા દ્વારા જામીન અરજી સંદર્ભે સખત વાંધો લેખીતમાં લેવામાં આવેલ હતો અને મૌખીક દલીલ કરવામાં આવી હતી. સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા પણ જામીન અરજી સામે સખત વાંધો લેવામાં આવ્યો હતો.તમામ પક્ષકારોને સાંભળી તથા તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું ધ્યાને લઈ ગોંડલના સેશન્સ જજે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ નામંજૂર કરી હતી.
આ કામમાં ફરિયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલા, રવિરાજ ઠકરાર, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી, સત્યજીતસિંહ જાડેજા તથા મદદનીશ તરીકે નિશાંત ચાવડા, નિરંજન ભટ્ટી અને ઋષિત રોહિત રોકાયા છે..