અયોધ્યાના આમંત્રણ આવ્યા અને અંબાણીના આમંત્રણ ન મળ્યા?
- રવિન્દ્ર જાડેજા ઉપર નિશાન સાધતી નયનાબાની ફેસબુક પોસ્ટથી પારિવારિક વિવાદના એંધાણ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં નણંદ-ભાભી વચ્ચેનો વિખવાદ જૂનો અને જાણીતો છે. નણંદ-ભાભી વચ્ચેનો વિખવાદ મીડિયામાં હેડલાઈન્સમાં રહે છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની ફેસબુક પોસ્ટથી ફરીથી નણંદ ભાભી વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે. જોકે, નયનાબા જાડેજાએ થોડીવારમાં જ આ પોસ્ટને ફેસબુકમાંથી હટાવી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
હકીકતમાં તાજેતરમાં જ ભારતના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની જામનગર ખાતે પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. જેના અનેક ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જોવા મળ્યા નહતા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ નામ લીધા વગર રિવાબા અને રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યું હતું. અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશના ક્રિકેટરોને આમંત્રણ અપાયું હતું, જ્યારે મૂળ જામનગરના જ સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને કેમ આમંત્રણ ન મળ્યું તેને લઈને તેઓએ ફેસબુક પોસ્ટ કરી હતી. તેઓએ ફેસબુક પર લખ્યું હતું કે,એક વાત પૂછવી તી, અયોધ્યાના આમંત્રણ આવ્યા અને અંબાણીના આમંત્રણ ન મળ્યા નયનાબા જાડેજાની આ ફેસબુક પોસ્ટ ફરી ચર્ચાનો વિષય બની છે. નયનાબાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. નયનાબાની ફેસબુક પોસ્ટ બાદ ફરી નણંદ ભોજાઈનું સોશિયલ મીડિયા યુદ્ધ જામશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.