મુદત પૂર્ણ થતા તંત્ર મેળામાં ત્રાટકયું: લાઇટ કાપી મેળો બંધ કરાવ્યો
મહાપાલિકાની કાર્યવાહીથી મેળાના આયોજકો અને મુલાકાતીઓ નારાજ
જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં વિવાદો અને બબાલો વચ્ચે ચાલી રહેલો શ્રાવણી મેળો અચાનક બંધ થતાં શહેરના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. મેળાનું પર્ફોર્મન્સ લાયસન્સ ગઈકાલે રાત્રે સમાપ્ત થઈ જતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ મેળાને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ નિર્ણયના પગલે મેળાના આયોજકો, દુકાનદારો અને મુલાકાતીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. મેળાના આયોજકોનું કહેવું છે કે, તેમણે મેળામાં લાખો રૂૂપિયાનું રોકાણ કર્યું છે અને અચાનક મેળો બંધ થવાથી તેમનું આખું રોકાણ પાણીમાં જાય તેવી સ્થિતિ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 20 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે મેળાના મુખ્ય દિવસોમાં મેળો બંધ રહેતાં, મેળાના આયોજકોએ મુદત વધારવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાએ મેળાની મુદત વધારીને 11 સપ્ટેમ્બર કરી હતી.
જોકે, મુદત વધારવાની આ પ્રક્રિયામાં વિલંબ થતાં, મેળાનું લાયસન્સ ગઈકાલે રાત્રે સમાપ્ત થઈ ગયું. આજે સવારે જ્યારે મેળાના આયોજકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે બેઠક મળી ત્યારે આ સમસ્યા સામે આવી હતી. લાયસન્સ વિના મેળો ચાલુ રાખવો કાયદેસર ન હોવાથી મહાનગરપાલિકાએ મેળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, તેમણે કાયદાનું પાલન કરતાં આ નિર્ણય લીધો છે. મેળાનું લાયસન્સ નવીનીકરણ કરવાની પ્રક્રિયા આવતીકાલે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મેળો ફરીથી શરૂૂ થઈ શકશે. જોકે, મેળાના આયોજકો આ બાબતે સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી અને તેઓ મહાનગરપાલિકા પાસેથી વળતરની માંગ કરી રહ્યા છે.