મેયર કાર્યાલયના દરવાજે આવેદનપત્ર ચોટાડી નકલી નોટોનો હાર પહેરાવ્યો
જામનગર શહેરમાં ભ્રષ્ટાચારના મુદ્દે મહાનગરપાલિકાની કચેરીમાં આજે વિરોધ પક્ષે ભારે હંગામો મચાવીને નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગેરહાજર રહેલા મેયરની કચેરીના દ્વારે આવેદનપત્ર અને ગંદકી સહિતના ફોટા ચોટાડી તેના પર ચલણી નોટો નો હાર પહેરાવીને વિરોધ કર્યો હતો.
પ્રજાની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી દેતા હો તો ભ્રષ્ટાચાર ના રૂૂપિયા આપવા માટે વિરોધ પક્ષ પણ તૈયાર છે, તેમ કહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કચેરીમાં જઈને ત્યાં હાજર રહેલા સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદનપત્ર આપી સાથે સાથે ટેબલ પર ચલણી નોટો આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગર શહેરમાં રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે, ઉપરાંત કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે. જેને કારણે શહેરની આજે અનેક શેરી ગલી અને કેનાલોમાં કચરા ભરાયેલા છે, અને રોડ રસ્તા માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી અનેક માર્ગો ભંગાર હાલતમાં બની ગયા છે, અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જે મુદ્દો લઈને આજે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા ની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નગરના મેયર ગેરહાજર હોવાથી તેની કચેરીના દ્વારે આવેદનપત્ર ચોટાડવામાં આવ્યું હતું, અને ભ્રષ્ટાચાર ના કારણે નગરની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. ત્યારે જો પૈસાના જોરે કામ કરતા હો તો વિરોધ પક્ષ પણ ભ્રષ્ટાચાર રૂૂપી નોટો આપવા તૈયાર છે, તેમ દર્શાવી જામનગર શહેરને ગુલાબી બનાવી દેવા માટે ડુપ્લીકેટ 2,000 રૂૂપિયાની ચલણી નોટોનો હાર મેયરના ચેમ્બરના દ્વારે ચોટાડ્યો હતો અને ભંગાર રોડ રસ્તા, ગંદકીના ફોટા પણ મેયર ચેમ્બર ના દ્વાર પર ચોટાડ્યા હતા. એટલુંજ માત્ર નહીં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર હોવાથી વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો વગેરે ચેરમેન નિલેશ કગથરાની કચેરીમાં પહોંચ્યા હતા જ્યાં આવેદનપત્રની કોપી આપી સાથે સાથે ડુપ્લીકેટ 2,000 ની ચલણી નોટો ટેબલ પર પાથરી હતી, અને જામનગરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી આપવા અમેં પણ ભ્રષ્ટાચારની રકમ આપવા તૈયાર છીએ તેમ દર્શાવી નવતર પ્રકારે વિરોધ કર્યો હતો. જેથી મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી.