જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુ
જામનગર- રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રન ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત બુઝુર્ગ નો ભોગ લેવાયો છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રામપર ગામના પાટિયા પાસે ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ફોરવીલ ના ચાલકે પુરઝડપે આવી ત્યાંથી પસાર થઈ રહેલા આશરે 50 વર્ષની વયના કોઈ અજાણ્યા વ્યક્તિને હડફેટમાં લઈ લેતાં માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી. જે ઈજાગ્રસ્ત અજાણ્યા પુરુષને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે રામપર ગામના ખેડૂત રાહુલ પોલાભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ. એન. શેખ અને તેઓની ટીમેં બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકની પણ શોધખોળ હાથ ધરી છે.
મહિલાનો આપઘાત
જામનગરમાં શિવમ પાર્ક ટેનામેન્ટ નંબર -4 માં રહેતી મીનાક્ષીબેન રશ્મિકાંતભાઈ વ્યાસ નામની 70 વર્ષની વિપ્ર બુઝુર્ગ મહિલા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી માઈગ્રેન તેમજ બીપી ની બીમારી થી પીડાતા હતા. જે બીમારીના કારણે તેઓ જિંદગીથી તંગ આવી ગયા હતા. દરમિયાન ગઈકાલે બપોર બાદ તેઓ પોતાના ઘેરથી નીકળી ગયા હતા, અને અંધ આશ્રમ આવાસ નજીકથી પસાર થઈ રહેલી રેલવે લાઇન પર પહોંચી જઈ ત્યાં ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે. ધસમસતી ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે તેઓનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકની પુત્રી કૃતિબેન રશ્મીકાંતભાઈ વ્યાસે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વિપ્ર બુઝુર્ગ મહિલાના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.