વધુ એક નકલી કાંડ : મામલતદારની ખોટી સહી કરી 50 નકલી હુકમો બનાવ્યા
અઢી-અઢી લાખ લઈ બારોબાર જમીનના સોદા કર્યા : અમીરગઢના ઉમરકોટ ગ્રામ પંચાયતની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવ્યા, કૌભાંડ છતુ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ
અમીરગઢ મામલતદારના બનાવટી સહી- સિક્કા બનાવી 50 થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. દરેક લાભાર્થી પાસે અઢી-અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યાનું ખુલતાં અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. જેને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખોટી સરકારી કચેરી,ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લીકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જેથી ગ્રૂપ ગ્રામપંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લીકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેટ ખુલાસો થયો છે.કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે હોવાનું સામે આવ્યું છે.
એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામુ કરવા કર્મચારીઓને સ્થળ ઉપર આવવાનું કહેતા ભેજાબાજોની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામનો સુરેશભાઈ રુપાજી માળી 25 દિવસ પહેલા મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામુ કરવાનું કહ્યું હતું અને તાલુકા પંચાયત દ્વારા ફાળવાયેલ હુકમ બતાવી જે જગ્યાનો હુકમ થયો છે ત્યાં પંચનામુ કરવાનું કહેતા મામલતદારએ હુકમને વાંચતા તાલુકા પંચાયતમાંથી આવો કોઈ હુકમ થયેલો ન હોવાનું જણાવી હુકમ બનાવટી હોવાનું કહ્યું હતું. જેને લઈને હડકંપ મચી ગયો હતો.
જોકે 50થી વધુ લોકોને અમીરગઢની તાલુકા પંચાયત કચેરી દ્વારા જમીન ફાળવવાનો હુકમ થયો હોવાનું અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી હુકમ દીઠ અઢી અઢી લાખ રૂૂપિયા લેવામાં આવ્યા હોવાનું સામે આવતા મામલતદારે પોલીસ, બનાસકાંઠા એસપી અને જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી હતી જે બાદ જિલ્લા કલેકટરે અમીરગઢ મામલતદારને ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.જેને લઈને અમીરગઢ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર મામલાને લઈને અજાણ્યા ભેજાબજો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે સુરેશ માળી પાસેથી પ્રિન્ટ આઉટની પીડીએફ મેળવી કેટલાક ભોગ બનનારના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂૂ કરી છે. પરંતુ હજુ સુધી ભોગ બનનારાઓએ જેમને અઢી અઢી લાખ રૂૂપિયા છે તેમના નામ ખુલીને જણાવ્યા નથી.તો બીજી તરફ આ મામલે સુરેશ માળી કશુંજ બોલવા તૈયાર નથી તો જે જમીન ઉપર અન્ય લોકો દબાણ કરીને રહી રહ્યા છે.
તેમનું કહેવું છે કે અમે કોઈની જમીન પચાવી પાડી નથી જમીન ઉપર અમારો કાયદેસરનો હક છે અમુક ભૂ-માફિયાઓ દ્વારા અમારી જમીન પચાઈ પાડવા માટેનો આ કારસો છે અમે કોઈને પણ પૈસા આપીને ખોટા કાગળો ઉભા નથી કર્યા ,અમારી પાસે જે પણ જમીનને લાગતા કાગળો છે તે બિલકુલ સાચા જ છે.અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.
અમીરગઢના મહાદેવીયામાં આવેલ કરોડો રૂૂપિયાની જમીન ઉપર ખોટી રીતે કબજો કરાયો હોવાનું તેમજ કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવતા હાલતો અમીરગઢ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે ત્યારે આવનાર સમયમાં કેટલાય કૌભાંડીઓના નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ઉમરકોટમાં વહીવટદાર શાસન
અમીરગઢ તાલુકાનું ઉમરકોટ ગામ જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવે છે. જ્યાં હાલ સરપંચ પદે કોઈ નથી વહીવટદાર છે.અહીંની સરકારી જગ્યા ઉપર પાછલા કેટલાય વર્ષોથી જુદા જુદા પરિવારો કબજો કરીને ખેતી કરે છે. આ પરિવારોએ વર્ષો અગાઉ કોર્ટમાં જમીનનો માલિકી હક મેળવવા કેસ પણ કર્યા છે. 25 દિવસ પૂર્વે જ્યારે અમીરગઢ મામલતદારના ધ્યાને સમગ્ર બાબત આવી એટલે એમને તરંત પોલીસનું ધ્યાન દોર્યું હતું.