રહેઠાણના દાખલા માટે આંગણવાડી ઉમેદવારોનો ભઠ્ઠાશેક
મામલતદાર કચેરીમાં કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભી રહેતી મહિલાઓ, અંધાધૂંધીનો માહોલ
રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીમાં 9000 જેટલી ભરતી બહાર પાડી છે. જેના ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આ ફોર્મ ભરવા મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ દાખલાની જરૂરિયાત થતાં ઉમેદવારો દ્વારા મામલતદાર કચેરીમાં દાખલો કઢાવવા થતાં લાંબી કતારો લાગી છે અને સવારથી સાંજ સુધી 200થી વધારે અરજદારોનો મેળાવડો થઈ રહ્યો છે. આખો દિવસ ઉભા રહેવા છતાં વારો નહીં આવતો હોવાની બુમરાણો ઉઠી છે. રાજકોટની મામલતદાર કચેરીમાં અંધાધુધી જેવો માહોલ સર્જાયો છે.
રાજકોટ મામલતદાર કચેરીએ અરજદારે જણાવ્યું હતું કે, રહેઠાણનો દાખલો કઢાવવા માટે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઉભી હતી પરંતુ બપોરે 2 વાગ્યા સુધી વારો આવ્યો નથી. હું જ્યારે અહીં કચેરી આવી ત્યારે સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે મારે આઠમો મહિનો ચાલે છે અને મારે રહેઠાણનો દાખલો કઢાવવાનો છે તો તેમને કહ્યું કે બધાને એ જ સમસ્યા હોય તમારે લાઈનમાં તો ઊભું રહેવું પડશે. આ ઉપરાંત 50ના સ્ટેમ્પ પેપર માટે રૂૂ.400 લઈ લૂંટ ચલાવવામાં આવી રહી છે. અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં સુપરવાઇઝરની ભરતી માટે રહેઠાણનું પ્રમાણપત્ર લેવા માટે અહીં આવી છું. અહીં દોઢ કલાકથી લાઈનમાં ઉભી છું પરંતુ હજુ વારો આવ્યો નથી. અહીં મારો ચોથો ધક્કો છે.
રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીના મામલતદારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી સુપરવાઇઝર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે અહીં મામલતદાર કચેરીએ ઉમેદવારો આવી રહ્યા છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ છે તેને લઈને હાલ અરજદારોની લાઈન જોવા મળી રહી છે.
જેથી સવારથી રાત સુધી કચેરી ચાલુ રહે છે અને જે દિવસે રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે તે જ દિવસે તેમને પ્રમાણપત્ર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. કચેરીના 70 ટકા સ્ટાફને જનસેવા ખાતે કામગીરી સોંપવામાં આવી છે. પહેલા દરરોજ 50 જેટલા દાખલા નીકળતા હતા પરંતુ તેની જગ્યાએ હવે તે સંખ્યા વધીને 350 સુધી પહોંચી ગઈ છે.