લોધિકાના ખીરસરામાં છાતી ઉપરથી સાપ પસાર થતાં વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું
રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ એક ઘટનામાં લોધિકાના ખીરસરા ગામે રહેતાં વૃદ્ધાના પેટ પરથી સાપ પસાર થતા વૃદ્ધાનું હાર્ટ બેસી ગયું હતું. જ્યારે બીજી ઘટનામાં પરસાણાનગરમાં રહેતા યુવકનું પણ હદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. વૃદ્ધા અને યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક કાલાવાડ રોડ ઉપર આવેલા લોધીકા તાલુકાના ખીરસરા ગામે રહેતા અમીનાબેન ઉમરભાઈ પીરજદા પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમના પેટ ઉપરથી સાપ પસાર થયો હતો તે દરમિયાન વૃદ્ધા બીકના માર્યા બેભાન થઈ ગયા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે વૃદ્ધાનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાના પતિ હાલ હયાત નથી અને તેમને સંતાનમાં બે પુત્ર છે અમીનાબેન પીરજાદા પોતાના ઘરે સુતા હતા ત્યારે પેટ પરથી સાપ પસાર થતાં બીકના માર્યા હાર્ટ બેસી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા મનીષભાઈ ભીમજીભાઈ ઝાલા નામનો 37 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈ એક બેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.