ભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોત
ઉપલેટા તાલુકાના મોજીલા ગામે રહેતા વૃદ્ધ ભાયાવદરથી દવા લઈને પરત ફરતા હતા ત્યારે ભાયાવદર નજીક બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટા તાલુકાના મોજીરા ગામે રહેતા દેવાયતભાઈ ગોવાભાઇ ભારાઈ નામના 70 વર્ષના વૃદ્ધ દસ દિવસ પૂર્વે સવારના દસેક વાગ્યાના અરસામાં ભાયાવદરથી દવા લઈને ઘરે પરત ફરતા હતા ત્યારે ભાયાવદર નજીક ઉપલેટા રોડ ઉપર બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતા તાત્કાલિક સારવાર માટે ભાયાવદર, ઉપલેટા અને જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વૃદ્ધને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં જામનગરમાં આવેલા પટણીવાસમાં રહેતા મોહમદ હુસેનયાસીન પંજા નામનો 30 વર્ષનો યુવાન રાતના બેએક વાગ્યાના સમયે આમરણ ટોલનાકા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કારચાલકે ઠોકરે ચઢાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.