અમિત શાહ-નડ્ડા-રાજ્યપાલ-મુખ્યમંત્રી-પાટિલ-માંડવિયા પહોંચ્યા
સ્વ.વિજયભાઈની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, ભાજપના ધારાસભ્યો અને સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓની હાજરી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થયા બાદ આજે વિજયભાઈ રૂપાણીની રાજકોટ ખાતે અંતિમવિધી થનાર હોય તેમની અંતિમ વિધી અને અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે દિલ્હી અને ગાંધીનગરથી કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનો તેમજ ભાજપના ધારાસભ્યો સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરનાં નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતાં.
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમવિધીમાં તેમજ તેમના ઘરેથી નીકળનારી અંતિમ યાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને પ્રધાનો સહિતના ધારાસભ્યો રાજકોટ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ,સાંસદ મનસુખભાઈ માંડવીયા, પરસોત્તમ રૂપાલા તેમજ રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના સ્થાનિક ધારાસભ્યો ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી ધારાસભ્યો અને પ્રધાન મંડળના મંત્રીઓ હાજરી આપી હતી.
વિજયભાઈ રૂપાણીની 1956થી લઈ 2025 સુધીની સફર દરમિયાન રાજ્કીય અગ્રણીઓ તેમજ સામાજિક ક્ષેત્રનાં આગેવાનો તેમની સાથે સંબંધ ધરાવતાં તમામ લોકો રાજકોટ આવ્યા હતાં. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ જ્યારે એરપોર્ટ ખાતે આવ્યો ત્યારે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય રાજકીય અગ્રણીઓ સાથે તેમના પરિવારજનો એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં.
હિરાસર એરપોર્ટ ઉપર ચાર ચાર્ટર પ્લેન પહોચ્યા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ બપોરે રાજકોટ આવી પહોંચ્યા બાદ સાંજે તેમની અંતિમવિધિ રામનાથપરા સ્મશાનગૃહ ખાતે થનાર હોય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે દિલ્હી અને ગાંધીનગરના દિગ્ગજ નેતાઓ ઉપરાંત ગવર્નર સહિતના અગ્રણીઓ રાજકોટ આવી પહોંચ્યા હોય ખાસ ચાર્ટર પ્લેન મારફતે આ નેતાઓ રાજકોટ આવ્યા હોય રાજકોટ એરપોર્ટ ઉપર આજે ચાર ચાર્ટર પ્લેન લેન્ડ થયા હતાં. દિગ્ગજ નેતાઓની રાજકોટમાં ઉપસ્થિતિને લઈને એરપોર્ટ ઓથોરીટી અને સીઆઈએસએફ દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટનું હિરાસર એરપોર્ટ આજે પ્રાયવેટ ચાર્ટર પ્લેનની અવર જવરથી સતત વ્યસ્ત રહ્યું છે. હિરાસર એરપોર્ટ ખાતે ખાસ ચાર ચાર્ટર પ્લેનને ઉતરાણ માટેની મંજુરી આપવામાં આવી હતી. ઉપરાંત ગૃહ પ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં હોય જેની સુરક્ષાને લઈને એરપોર્ટ ઓથોરીટી અને સીઆઈએસએફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ તમામ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં હાજરી આપ્યા બાદ સાંજે પરત જવા રવાના થયા હોય તેમની ચાર્ટર પ્લેનની ઉડાનના કારણે અન્ય સાઈટના ઉડાનમાં સંભવત: ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે, આ મામલે હજુ સુધી એરપોર્ટ ઓથોરીટી દ્વારા અન્ય ફ્લાઈટના શેડ્યલુ અંગેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.