અંબરીશ ડેર ભાજપ ભણી, પૂંજા વંશ ઉપર નજર
- રાહુલની ન્યાયયાત્રા સમયે જ કોંગ્રેસને આંચકા આપવા તૈયારી
ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે. હવે વધુ એક કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. અમરેલી જિલ્લાના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને લઇને રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. અંબરીશ ડેર આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. જોકે અંબરીશ ડેરે જણાવ્યું છેકે, હાલ કોઇ વિચાર નથી, આવનારા સમયમાં જોઇશું.બીજી તરફ ભાવનગર લોકસભાની બેઠક ઉપર હીરાભાઈ સોલંકીને લડાી રાજુલા બેઠક ઉપર અંબરીશ ડેરને પેટા ચૂંટણી લડાવવા ભાજપે ગેઈમ પ્લાન ગોઠવ્યો હોવાની પણ ચર્ચા છે.
આગામી 7 માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે. જોકે એ પૂર્વે કોંગ્રેસ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. આ પહેલા દાહોદ શહેર પ્રમુખ ઈશ્વર પરમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે મળેલી બેઠક બાદ તેમણે પક્ષમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. આ સિવાય સોમનાથ જિલ્લાના કોળી નેતા એન કોંગ્રેસના સિનિયર આગેાવન પુંજાભાઈ વંશ ઉપર પણ ભાજપની નજર હોવાની ચર્ચા છે.
ભાજપમાં જોડાવાની ચર્ચા બાદ ગુજરાતી જાગરણે અંબરીશ ડેરનો સંપર્ક કર્યો હતો. અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, હાલ ભાજપમાં જોડાવા અંગે કોઇ વિચાર કર્યો નથી. આવનારા સમયમાં જોઇશું. જ્યારે નિર્ણય કરીશ ત્યારે જણાવીશ. નોંધનીય છેકે, આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ઇશારો કરતા કહ્યું હતું કે, અંબરીશ ડેર માટે જગ્યા રાખી મુકી છે.
2021માં નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લામાં એક સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, અંબરીશ ડેરને મારે ખખડાવવા પડશે. તેમને ખખડાવવાનો મારો અધિકાર છે. આપણે જેમ બસમાં બેસીએ ત્યારે રૂૂમાલ મુકીને જગ્યા રોકીએ છીએ. એ જ રીતે અંબરીશ ડેર માટે પણ જગ્યા રાખી મુકી છે. જેના જવાબમાં અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, જીતી શકે તેવા ઉમેદવારોને પોતાના પક્ષા લેવાનો પ્રયાસ ચૂંટણી સમયે દરેક પક્ષ કરતો હોય છે.
હીરાભાઈને લોકસભાની ટિકિટ આપી ડેરને રાજુલામાં પેટાચૂંટણી લડાવાશે?
લોકસભાની ચૂંટણી અને ગુજરાતમાં બુધવારે રાહુલની ન્યાયયાત્રા શરૂ થાય તે પૂર્વે ભાજપ દ્વારા ચાલી રહેલ ભરતીમેળામાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરને ભાજપમાં ભેળવવા તખતો ગોઠવાયો છે. આ માટે રાજુલાની બેઠક ભાજપ ખાલી કરી ત્યાં ડેરને પેટા ચૂંટણી લડાવે તેવી ગોઠવણ થયાની ચર્ચા છે. રાજુલાના હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ભાવનગર બેઠક ઉપર લોકસભાની ટીકીટ અપાય તેવી ચર્ચા છે.