કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રે સોમનાથ મંદિરમાં સર્જાયો અદ્ભૂત અમૃતવર્ષા યોગ
કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાયો હતો. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવ્યું હતું.
આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણકે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે કાર્તિકી પૂર્ણિમાના આ અદભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના 11:00 વાગે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રીએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ વિશેષ પર્વેને વધુ દીપાવતા દ્રોણેશ્વર એસ.જી.વી.પી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ બેન્ડ સાથે રાત્રે મહાદેવ ની મહા આરતી સંગીત મય શૈલીમાં તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી.
