અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા સોમવારે જિલ્લા મથકોએ અપાશે આવેદન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આગામી તા.15ના સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપશે. સંગઠન દ્વારા તા. 01 સપ્ટેમ્બર 2025ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવશે.
આ ચુકાદા અનુસાર ધોરણ 8 સુધી ભણાવતાં તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ફરજિયાત કરી દેવામાં આવી છે, ભલે તેમની નિમણૂંકની તારીખ કોઈપણ હોય. આ સ્થિતિ દેશભરના લાખો શિક્ષકોની સેવા-સુરક્ષા અને રોજગારને સંકટમાં મૂકી શકે છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે આરટીઈ અધિનિયમ 2009 અને એનસીટીઈ નું તા. 23 ઓગસ્ટ 2010ની જાહેરનામા મુજબ બે અલગ-અલગ શ્રેણીઓ માન્ય હતી 2010 પૂર્વે નિમણૂંક પામેલા શિક્ષકો, જેઓને પાત્ર માનવામાં આવ્યા હતા અને જેમને TETમાંથી છૂટ આપવામાં આવી હતી, તથા 2010 પછી નિમણૂંક પામેલા શિક્ષકો, જેમને નિશ્ચિત સમયગાળામાં TET પાસ કરવું જરૂૂરી હતું. ન્યાયાલયના આ ચુકાદાએ આ ભેદને અવગણ્યો છે, જેના કારણે 2010 પૂર્વે નિયમિત રીતે નિમણૂંક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત બની ગઈ છે.
એબીઆરએસએમના અધ્યક્ષ પ્રોફેસર નારાયણલાલ ગુપ્તાએ જણાવ્યું કે, અનેક વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક TETની ફરજિયાતતા લાદવી માત્ર અન્યાયપૂર્ણ જ નથી પરંતુ તે શિક્ષણની સાતત્યતા પણ ભંગ કરશે. સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ નિયમને માત્ર ભવિષ્યની નિમણૂંકો પર લાગુ કરવો જોઈએ. મહામંત્રી પ્રોફેસર ગીતા ભટ્ટે જણાવ્યું કે આ ચુકાદાથી 20 લાખથી વધુ શિક્ષકો પ્રભાવિત થશે.