For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિકટ સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના

05:19 PM May 09, 2025 IST | Bhumika
વિકટ સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના

પ્રવર્તમાન સ્થિતિને પગલે મુખ્યમંત્રીએ જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરેલી સમીક્ષા

Advertisement

હોટલાઈન-સેટેલાઈટ ફોન ચકાસી લેવા, દવા-પાણી-ખોરાકનો પર્યાપ્ત જથ્થો રાખવા સુચના

તમામ જિલ્લાના ક્ધટ્રોલ રૂમ-ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રાખવા સ્પષ્ટ નિર્દેશો

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.

મુખ્યમંત્રી શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી.

મુખ્યમંત્રીએ હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી. નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂૂપે કરી લેવા પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.
સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉપરાંત મહેસુલ, ઊર્જાના અધિક મુખ્ય સચિવઓ, શહેરી વિકાસ, ઉદ્યોગ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, વાહન વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોના અગ્ર સચિવઓ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ અને કેન્દ્રીય એજન્સીઓ એરફોર્સ તેમજ લશ્કર અને બી એસ એફ અધિકારીઓ પણ જોડાયા હતા.

વડાપ્રધાને ગુજરાતના સરહદી જિલ્લાઓની પરિસ્થિતી અંગે CM પાસેથી વિગતો મેળવી

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

અમદાવાદથી નવી 75 એમ્બ્યુલન્સ કચ્છ, ભુજ, જામનગર અને દ્વારકા રવાના
ઇમરજન્સી સેવાને પહોંચી વળવા માટે કચ્છ, ભુજ, દ્વારકા અને જામનગર ખાતે વધારાની 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. અલગ-અલગ શહેરોમાંથી પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. નવી 75 જેટલી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે, જેમાં 40 કચ્છ-ભુજ ખાતે, 20 જામનગર અને 15 દ્વારકા ખાતે મોકલવામાં આવી છે. બાર જેટલી એમ્બ્યુલન્સ અલગ-અલગ શહેરોમાંથી કચ્છ ખાતે પહોંચી છે. દરેક એમ્બ્યુલન્સમાં બે સ્ટાફ મૂકવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ જે તે જિલ્લાના કલેકટરની સૂચના પ્રમાણે સ્થળ ઉપર મોકલવામાં આવશે અને ત્યાં ફરજ પર 24 કલાક હાજર રહેશે.

લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચન
તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement