અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી AP
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શક્યું નહીં. વિમાનમાં સવાર તમામ ૨૪૨ લોકોના મોત થયા. વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થયું.
એપીના અહેવાલ મુજબ, પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું, "એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી, કેટલાક સ્થાનિક લોકો પણ મૃત્યુ પામ્યા હશે."
આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સશસ્ત્ર દળોની ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
ગુજરાત સરકારે વિમાનમાં સવાર લોકોના સંબંધીઓને મૃતદેહોની ઓળખ માટે ડીએનએ નમૂના આપવા અપીલ કરી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.
આ વિમાન દુર્ઘટનામાં ઘણા સ્થાનિક લોકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં વિમાન દુર્ઘટનામાં ઘાયલોને લાવવામાં આવ્યા છે. અહીં તેમણે ઘાયલ લોકો સાથે વાત કરી.
આ ઉપરાંત, પ્રારંભિક રાહત કાર્ય માટે સશસ્ત્ર દળો સાથે NDRF અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં મેડિકલ ટીમ અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત હતા. ઘટનાસ્થળે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી છે. પીએમ મોદીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, અમદાવાદમાં તમામ સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.