અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાનું નિશ્ર્ચિત!
અમદાવાદને હોસ્ટ સિટી બનાવવાની કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિકયુટીવ બોર્ડે ભલામણ કરી
ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી માત્ર એક ડગલું દૂર
ભારતના રમત-ગમત ક્ષેત્રે વિકાસને વેગ આપવાની દિશામાં એક ઐતિહાસિક જાહેરાત બુધવારે થઈ છે. કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ-2030માં 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે અને તેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરશે તેમ બોર્ડે જણાવ્યું છે. 1930માં શરૂૂ થયેલા આ રમતોત્સવની શતાબ્દીની ઉજવણી અમદાવાદ ખાતે થાય તે શક્યતા હવે હાથવેંતમાં છે. આ ભલામણને હવે 26 નવેમ્બરે યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ મૂકવામાં આવશે. આ મંજૂરી ઔપચારિક હોવાનું માનવામાં આવે છે, જેથી 2030માં અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું યજમાન શહેર લગભગ નિશ્ચિત છે. જો અમદાવાદને હોસ્ટ સિટી જાહેર કરાશે તો ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાનો આ બીજો પ્રસંગ રહેશે.
અગાઉ સૌપ્રથમ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું. આ સાથે જ 2036માં ઓલિમ્પિકનું યજમાન પદ મેળવવાના ભારતના પ્રયાસોમાં આ એક સિમાચિહ્ન પુરવાર થશે. ઉલ્લેખનીય છે કે 2036ના ઓલિમ્પિક માટે અમદાવાદને યજમાન શહેર બનાવવાનો પ્રસ્તાવ કરાયો છે. 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ભારતની ટક્કર આફ્રિકન દેશ નાઈજીરીયાના શહેર અબુજા સાથે હતી. કોમનવેલ્થ સ્પોર્ટે આફ્રિકન દેશને 2034માં યજમાની સોંપવાનો નિર્ણય લીધો હતો.
ભારતમા રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયાથી પ્રતિભાવાન ખેલાડીઓની ઓળખ અને તેમના સંવર્ધન માટે પ્રવૃત રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનના લીધે કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થવાનો સંયોગ રચાયો છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ ડો. પી.ટી. ઉષાએ 100મી કોમન વેલ્થ ગેમ્સને ગેમ્સ ફોર ધ ફ્યૂચર ગણાવતા કહ્યું હતું કે, અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ - સ્થિરતા, સર્વસમાવેશકતા અને નવીનતા પર આધારિત હશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હશે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પીએમ નરેન્દ્ર મોદીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતની માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મૂકવાના લીધે જ આ બહુમાન ભારતને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અને ભારત માટે આ ખરા અર્થમાં ગર્વની ક્ષણ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાની સરાહના કરી હતી.