ગામના બારોબાર સોદા બાદ સરકાર જાગી, વિવાદાસ્પદ જમીનના બક્ષિસ લેખ કરી હસ્તગત કરાશે
દહેગામ તાલુકાના જૂના પહાડિયા, સાંપાના કાલીપુર પરુ તથા રામાજીના છાપરાની જમીન બારોબાર વેચી દેવાના કૌભાંડ બાદ સરકાર જાગી છે ત્યારે મુદ્દતો બહાર પાડીને આ વિવાદાસ્પદ નોંધ રદ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે વેચાણ દસ્તાવેજ રદ કરવાને બદલે હાલ જેમના નામે આ વિવાદાસ્પદ જમીન છે તે માલિકો સરકારને બક્ષીસલેખ કરીને આ જમીન સરકારને આપી દે તેવી તજવીજ ચાલી રહી છે. જેનાથી ઘીના ઠામમાં ઘી ઠરી જશે તેમ લાગી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પરા વિસ્તારની ખાનગી જમીનો બારોબાર વેચી દેવાની ઘટના વારાફરથી બહાર આવી હતી. પહેલા જૂના પહાડિયા, બાદમાં સાંપાના કાલીપુર પરૂૂ અને ત્યાર બાદ રામાજીના છાપરામાં ઊભા થયેલી સોસાયટી કે મકાનોને બદલે ખુલ્લી જમીન બતાવીને તેના વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ કિસ્સા સામે આવ્યા બાદ મહેસૂલ વિભાગ જાગ્યો હતો અને ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટમાં આ ત્રણેય કેસમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
કાલીપુરના પરાની વેચાણ નોંધ રદ કર્યા બાદ જૂના પહાડિયાની વેચાણ નોંધ પણ રદ કરવામાં આવી છે અને રામાજીના છાપરાની જમીન અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર છે. તેવી સ્થિતિ વચ્ચે આવા કિસ્સામાં મહેસૂલ વિભાગ-સચિવાલયથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ તથા નેતા-મંત્રીઓએ પણ આવા કિસ્સામાં હાલ રહેતાં રહીશો-ગ્રામજનોને નુકસાન ન જાય તે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો વેચાણ નોંધ રદ કરી દેવામાં આવી છે, પરંતુ વેચાણ દસ્તાવેજ હજુ રદ થયો નથી ત્યાં સુધી ખરીદનાર જ આ જમીનના માલિક છે. આ સ્થિતિમાં હવે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તક્ષેપ બાદ જમીન સરકારને સોંપી દેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દહેગામના આ ત્રણેય કિસ્સામાં હાલ જેમની પાસે વેચાણ દસ્તાવેજ છે તેમના દ્વારા આ જમીન સરકારને બક્ષીસ લેખ કરી આપશે. અગાઉના દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરી મારફતે સરકારને બક્ષીસલેખ કરીને આ વિવાદાસ્પદ જમીનો સરકારને સોંપી દેવામાં આવશે. એટલે કે, આ ખાનગી જમીનોની સરકાર માલિક થઈ જશે. જો કે, બાદમાં સરકાર દ્વારા આ જમીન ઉપર જે તે ગ્રામજનો વસવાટ કરે છે તેની સનદ કે અન્ય કોઈ પુરાવા આપશે તે ગ્રામજનોને તેનો માલિકી હક્ક પણ આપવામાં આવશે.