સુરત બાદ રાજકોટમાંથી ભાજપ અગ્રણીના પુત્ર સહિત બે શખ્સો ડ્રગ્સ સાથે પકડાયા
બીસીએના છાત્ર અને તેના મિત્ર પાસેથી કોલેજિયન અને જીમમાં આવતા યુવાનો ડ્રગ્સ ખરીદતા
મુંબઈના સપ્લાયર પાસેથી રૂા.9.85 લાખનું ડ્રગ્સ લાવ્યાની કબૂલાત
સુરત માંથી 35 લાખના ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર વિકાસ આહિર ઝડપાયા બાદ રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂૂ.9.85 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા છે. બન્ને શખ્સો કોલેજીયન યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા હતા. ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્રથી લાવતા હોવાનું કબુલ્યું હતું.એસઓજીએ જસદણ ભાજપ અગ્રણીના પુત્રના ઘરે દરોડો પડતા ત્યાંથી પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેકયુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ વગેરે મળી આવ્યું હતું.
એસઆરજીના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને હાર્દિકસિંહ પરમારની બાતમીના આધારે 150 ફૂટ રીંગ રોડ પર ભક્તિધામ સોસાયટીમાં આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટનાં ફલેટ નં. 19માં બાતમીના આધારે દરોડો પાડતા રાજકોટમાં બીસીએમાં અભ્યાસ કરતા મૂળ જસદણના પાંચવડા ગામના પાર્થ દેવકુભાઈ મકવાણા (ઉ.વ. 21) અને તેના મિત્ર ગોંડલ રોડ ઉપર ખોડીયારનગર શેરી નં. 15માં રહેતા સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢા (ઉ.વ.24)ને ઝડપી લીધા હતા દરોડામાં ટેબલ નીચે સંતાડાયેલ રૂૂ.9.85 લાખનું 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂૂ કર્યો હતો. સાહિલ અને પાર્થ બન્ને છેલ્લા પાંચ માસથી મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવતા અને આ ડ્રગ્સની નાના મોટા પાઉંચ બનાવી તે રૂા.2200 થી લઈ રૂા.2500માં વેચતા એક ગ્રામ ડ્રગ્સ ઉપર રૂા.700 થી 800નો નફો મળતો હતો. સોમવારે જ બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યાના હતા જેની બાતમી મળતા એસઓજીએ ગણતરીના કલાકો બાદ દરોડો પાડ્યો હતો.
એસઓજીની ટીમે દરોડામાં રૂૂ.9.85 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, બે વજન કાંટા, ડ્રગ્સ જેમાં ભરીને વેચતા હતા તે પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેકયુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ વગેરે મળી કુલ રૂૂ. 10.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગ્રાહકોના નામો મેળવવા અને મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરનારાઓના નામો મેળવવા પોલીસે હવે તજવીજ શરૂૂ કરી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્રબગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.