ભાજપમાં જઇને ઠાકોર સમાજના નેતાઓ નહોર વગરના સિંહ થઇ ગયા, કોઇ સાંભળતું નથી
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે નેતાઓ સમાજની વાતો કરતા હતા અને તેના માટે લડતા હતા, તેઓ ભાજપમાં જોડાયા બાદ હવે કોઈ સાંભળતું નથી.
સંમેલનમાં ઉપસ્થિત ઠાકોર સમાજના લોકોને સંબોધતા બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપમાં જોડાયા બાદ ઠાકોર નેતાઓને નહોર વગરના સિંહ જેવા બનાવી દેવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપે ઠાકોર સમાજના એવા નેતાઓને કે જેઓ સમાજ માટે લડતા હતા, તેમને નખ વગરના સિંહ બનાવીને વાળામાં પૂરવાનું કામ કર્યું છે.
બળદેવજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જે નેતાઓ સમાજની વાતું કરવાવાળા હતા અને સમાજ માટે લડતા હતા, ભાજપમાં જોડાયા બાદ તેમનું પણ કંઈ સાંભળવામાં આવતું નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાજપે અમારી સમાજના નેતાઓને નખ વગરના સિંહની જેમ બનાવીને તેમને એક ખૂણામાં ધકેલી દીધા છે.પૂર્વ ધારાસભ્યના આ નિવેદનોથી પાટણના ઠાકોર સમાજમાં ભારે ચર્ચા જાગી છે. તેમણે ભાજપમાં જોડાયેલા ઠાકોર નેતાઓની વર્તમાન સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને સમાજ માટે અવાજ ઉઠાવનારા નેતાઓનું ભાજપમાં કોઈ મહત્વ ન હોવાનું જણાવ્યું હતું. તેમના આ પ્રહારો આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.