રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ અને દવાનો જથ્થો તૈયાર
તમામ સ્ટાફની રજાઓ રદ કરી હેડકવાર્ટર નહીં છોડવા આદેશ: દવાનો જથ્થો અને સારવાર માટે 1500ના સ્ટાફ સાથે ખાનગી હોસ્પિટલના તબીબોને પણ સ્ટેન્ડબાય રખાયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર છે. આરોગ્ય વિભાગે રાજકોટ સહીત ગુજરાતભરની ખાસ કરીને સરહદી વિસ્તારથી નજીક આવેલી સરકારી હોસ્પિટલોને ખાસ સુચના આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથેની એક મહત્વની મીટીંગ યોજાઈ હતી અને જરૂૂર પડે સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલના તબીબોને મદદ માટે તૈયાર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.
ઓપરેશન સિદુર બાદ સરહદી રાજ્ય ગુજરાતને એલર્ટ પર મૂકાયુ છે. ભારત-પાકિસ્તાન સરહદે સ્થિતી હજુ થાળે પડી યુધ્ધના અણસારને જોતાં રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. યુધ્ધની સ્થિતીમાં ઘાયલોને સમયસર સારવાર મળી રહે તેની અગમચેતીના ભાગરુપે હોસ્પિટલોમાં ડોક્ટરો સહિત પેરામેડિકલ સ્ટાફને રાઉન્ડ ધ કલોક હાજર રહેવા જણાવાયુ છે અને આરોગ્ય વિભાગના સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને હેડક્વાર્ટર નહી છોડવા સુચના કરવામાં આવી છે.
રાજકોટની પીડીયું હોસ્પિટલ ખાતે જરૂૂરી દવાનો જથ્થો રાખવામાં આવ્યો છે. હાલ દવાના જથ્થા કરતા 150 થી વધુ દર્દીઓનો દવાનો જથ્થો રાખવામાં આવ્યો છે.સરકાર દ્વારા જરૂૂરિયાત મુજબ દવાઓ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાત યુધ્ધના સંજોગોમાં લોહીની જરુરિયાત ઉભી થાય તો ખાનગી હોસ્પિટલો સાથે પણ સંકલન કરીને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા જણાવી દેવાયુ છે. હોસ્પિટલોમાં પુરતો વીજળી પુરવઠો જળવાઈ રહે અને વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાતના મેડિકલ એસોસિએશનોએ પણ ગુજરાત આરોગ્ય વિભાગને પુરતો સહયોગ આપવા જણાવ્યું છે.
આમ, સરકારી હોસ્પિટલોને ડોક્ટર-પેરા મેડિકલ સ્ટાફ સાથે સજ્જ રખાઇ અને વધારાનો 1500 જેટલા સ્ટાફને સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવ્યો છે. અને ઓપરેશનની જરૂૂર પડે તબીબોને પણ ખડેપગે રાખવામાં આવ્યા છે.