ઝાલાવાડમાં વ્યાજખોરો અને ખનીજ માફિયા સામે કાર્યવાહી કરાશે: DGP
સુરેન્દ્રનગર ખાતે રાજય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ, શ્રેષ્ઠ કામગીરી કરનાર રેન્જના પાંચ જિલ્લાના પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત
રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાયું. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર અને તમામ રેન્જના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં વિવિધ સંવેદનશીલ અને વર્તમાન સમયે મહત્વ ધરાવતા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યભરમાં વધતા ગુનાખોરીના વલણોની સમીક્ષા કરવાનો હતો. ચર્ચા દરમિયાન ગુનાખોરી રોકવા માટેના આધુનિક ઉપાયો, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તપાસની કાર્યક્ષમતા વધારવાના મુદ્દાઓ અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટેના સંકલિત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ વચ્ચે સુમેળ, સમન્વય અને ઝડપી કાર્યવાહી દ્વારા ગુનાખોરીને નાથવાનો દ્રઢ સંકલ્પ આ કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઈન્ટરનેટ પર થતી ધોકાધડી સામે તાત્કાલિક કાર્યવાહી જરૃરી છે. નાગરિકોને જાગૃત કરવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં સાવધાની રાખવા, અને ટેકનોેલોજીના ઉપયોગથી ગુનાઓને ઝડપી રીતે પકડવા માટે તંત્રને મજબૂત બનાવવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી. હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગુનાઓના રેકોર્ડમાં ઘટાડો લાવવા માટે પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મુકાયો. એવિડન્સ કલેક્શન, ફોરેન્સિક ટેકનોલોજી અને પોલીસે ફિલ્ડ પર ઝડપી એક્શન લેવું અનિવાર્ય ગણાયું.
કોન્ફરન્સમાં લોકોને ઉંચા વ્યાજે રૃપિયા આપી તેમની જમીન, મકાન કે દુકાનો પચાવી પાડતા જિલ્લાના માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું. તેમજ પ્રજાને પણ અપીલ કરી કે આવા વ્યાખખોરો સામે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરો. તેમજ વંચિત વર્ગ અને ગરીબ પરિવારોને વ્યાજખોરીના નેટવર્કમાંથી મુક્ત કરવા માટે જિલ્લાઓમાં બેંકો સાથે લોન મેળા યોજવાનો અભિગમ અપનાવવામાં આવશે.
કોન્ફરન્સમાં જાહેર સ્થળો, શોપિંગ માળ, શૈક્ષણિક સંસ્થાઓ અને મહિલા એતિહાસિક સ્થળો નજીક પોલીસ પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકાયો. શી ટીમની કામગીરી વધુ સક્રિય કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને આ ટીમને ટાર્ગેટેડ એક્શન લેવાની સૂચના આપવામાં આવી.